ગ્રામજનોએ બ્રિજેશ મેરજાનું ઢોલ, નગારા અને ત્રાસાથી ભવ્ય સ્વાગત કર્યું ભારત સરકારની ઉજ્જવલા યોજના અંતર્ગત રાંધણ ગેસના સિલિન્ડર અને ચુલા મળતા ગ્રામીણ મહિલાઓને ચુલા ફૂંકવાની પરેશાનીમાંથી મુક્તિ મોરબી : માળીયા(મીં)ના કુંભારીયા ગામે રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ જુદા જુદા પાંચેક ગામની ગૃહિણીઓને ભારત સરકારની ઉજ્જવલા યોજના અંતર્ગત રાંધણ ગેસના સિલિન્ડર અને ચુલા અર્પણ કર્યા આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાંધવામાં ગૃહિણીઓને ચુલા ફૂંકવાની પરેશાનીમાંથી મુક્તિ અપાવવાની કામગીરીને બિરદાવી હતી. મોરબી માળીયા(મીં) વિસ્તારમાં રસ્તા, સિંચાઈ, વિજળી અને પાણી-પુરવઠા સહિતના વિકાસ કામો અન્વયે રાજ્ય મંત્રીનું વિવિધ ગામના આગેવાનોએ બહુમાન કર્યું હતું. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને સહકારી અગ્રણી મગનભાઈ વડાવીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રોહીશાળાને અલગ સહકારી મંડળી આપવાની જાહેરાત કરી હતી. ગામના સરપંચ કાંતિભાઈ દેત્રોજા, તાલુકા પંચાયત ઉપ-પ્રમુખ સવજીભાઈ કારેલીયા વિગેરેએ મંત્રી બ્રિજેશ મેરજાનું ઢોલ, નગારા અને ત્રાસાથી ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. આ તકે મોરબી-માળીયા(મીં) પંથકના ૬૦૦ થી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી સમુહ પ્રસાદ પણ આરોગ્યો હતો. મોરબી નગરપાલિકા ઉપ-પ્રમુખ જયરાજસિંહ જાડેજાએ રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ કરેલ પરિણામ લક્ષી કામગીરીને જાહેરમાં બિરદાવી હતી. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ રાજ્ય સરકારમાંથી મોરબી પંથક માટે રૂ.૧૫૦૦ કરોડ જેટલા વિકાસ કામો રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા લાવ્યા, એ આપણા સૌ માટે ભારે મોટું ગૌરવ ગણાય તેમ જણાવી આવનારા દિવસોમાં પણ ભાજપ સરકાર બનવાની હોઈ, ભાજપ વિકાસનો પર્યાય બની ગયો હોઇ લોકોનું સમર્થન માંગ્યુ હતું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠોડ દ્વારા માળીયા(મીં) તાલુકાની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત કુંભારીયાને લેખાવી હતી. જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલે માળીયા(મીં) તાલુકામાં થયેલા વિકાસને આવકાર્યો હતો. જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ જયંતિભાઈ પડસુંબીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયા, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઇ અંદરપા, મોરબી તાલુકા પંચાયત સભ્યો, સહકારી આગેવાનો તથા સંગઠનના હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પંથકના અગ્રણી આર.કે.પારેજીયા, જિલ્લા પંચાયત સભ્ય, કેતનભાઇ વિડજા, તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા, મહામંત્રી અરજણભાઇ હુંબલ તથા પ્રવિણભાઇ અવાડીયા, વેજલપર ગ્રામ પંચાયત સરપંચ હરેશભાઇ સહિત માણાબા, વાધરવા, ખાખરેચી, જુના ઘાંટીલા વિગેરે ગામોના સરપંચો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ગામ લોકોએ માળીયા(મીં) તાલુકામાં બ્રિજેશ મેરજાએ કરેલા વિકાસથી પ્રેરાઇને તેમનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કર્યું હતું. આમ બ્રિજેશ મેરજાના માળીયા(મીં) તાલુકાના લોકસંપર્ક દરમ્યાન ભારે મોટો ઉત્સાહ જોવા મળ્યો હતો. રોહીશાળા ગામના ચંદુભાઇના માતાના નિધન અન્વયે રૂબરૂ મુલાકાત લઇ બ્રિજેશ મેરજાએ સાંત્વના પાઠવી હતી. રોહીશાળા ગામે પ્રાથમિક શાળાના ભૂલકાઓ સાથે સંવાદ પણ કર્યો હતો. ગુજરાત સરકારના સેવાસેતુ કાર્યક્રમનો રોહીશાળા ગામે રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ ખુલ્લો મુકયો હતો. જેમાં તાલુકાના સંબંધિત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. માળીયા(મી) તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તથા સભ્યો પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં સામેલ થયા હતાં. આ ઉપરાંત તાલુકા પંચાયત સભ્ય ચંદુભાઇ લાવડીયા, અશોકભાઇ બાવરવા, ઠાકોર સમાજના અગ્રણી ચંદુભાઇ કોળી તથા ગુજરાત પ્રદેશ યુવા ભાજપ સભ્ય રૂચિરભાઇ કારીયા ઉપસ્થિત રહ્યાં હતાં. અંતમાં આભાર વિધિ જિલ્લા સહકારી આગેવાન અમુભાઇ વિડજાએ કરી હતી.