વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામના બનાવમાં ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે માત્ર રૂપિયા 50 જેવી મામુલી રકમ ઉછીની નહિ આપવા મામલે ચાર શખ્સોએ પાંચ વ્યક્તિને લોખંડનો પાઇપ, કુહાડી સહિતના હથિયારો વડે ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતા અને કડિયા કામ કરી જીવનનિર્વાહ કરતા નરેન્દ્રભાઇ ઉર્ફે નનુ હેમરાજભાઇ વોરા કામ ઉપરથી પરત ફરતા હતા ત્યારે ગત તા. 11ના રોજ તેમના જ ગામના જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ મોતીભાઇ ગુગડીયાએ રસ્તામાં રોકી રૂપિયા 50 ઉછીના માંગ્યા હતા. પરંતુ નરેન્દ્રભાઈએ પૈસા આપવાની ના પાડી હતી. જેને પગલે ઉશ્કેરાય ગયેલ જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ મોતીભાઇ ગુગડીયાએ ઝઘડો કરી ગાળાગાળી કરતા અન્ય આરોપી દીવ્યેશ ઉર્ફે ભોલો જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ, મીતુલ જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ અને યોગેશભાઇ નવીનભાઇ વોરા રહે બધા રાતીદેવળી વાળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નરેન્દ્રભાઈ તેમજ અન્ય ચાર લોકોને લોખંડની ડાક, પાઇપ તેમજ કુહાડી વડે ઇજાઓ પહોંચાડતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફરિયાદી નરેન્દ્રભાઈએ ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંકનેર સીટી પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૩૨૫,૩૩૭,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.