લોકોનો ગુસ્સો તેજ, આજે ખાડાને ભ્રષ્ટાચારની ઉપમા.....: મોરબી પાલિકામાં માટે જાહેર માર્ગો ઉપરના ખાડા માથાના દુખાવારૂપ બન્યા મોરબી : સાલા.... એક મચ્છર..... ડાયલોગની જેમ આજકાલ મોરબીના જાહેર માર્ગો ઉપર પડેલા ખાડા મોરબી નગરપાલિકા માટે માથાના દુખાવા રૂપ બન્યા છે તેમાં પણ રવાપર રોડ ઉપર ચકીયા હનુમાનજી મંદિર પાસે રોડની વચ્ચોવચ્ચ પડેલો જિદ્દીલો ખાડાએ પાલિકાની કામગીરી ઉપર પાણી ફેરવી દીધું છે. ગઈકાલે આ જીવલેણ ખાડામાં કોઈ પટકાઈ નહીં તે માટે અહીંના વેપારીઓએ ખાડામાં નંબર વન રોડ ઉપર ધ્યાન રાખજો અહી ખાડો છે તેવું બોર્ડ મુક્ત જ પાલિકા તંત્ર દોડતું થયું હતું અને ખાડામાં પથ્થરની ભૂકી નાખી ખાડો પુરી દીધો હતો જો કે કલાકોના સમયગાળામાં જ આ જિદ્દી ખાડો ફરી મોં ફાડી બેઠો થયો હતો. મોરબીના તમામ જાહેર રાજમાર્ગોની હાલત મેઘરાજાએ બગાડી નાખી છે. પાલિકાના રોડ હોય કે પીડબ્લ્યુડીના રોડ હોય મોરબીના મોટાભાગના રોડ-રસ્તા વાહનચાલકોને ઊટસવારીની મફતમાં મજા કરાવી રહ્યા છે ત્યારે ગઈકાલે પાલિકા કચેરીની નજીકમાં જ આવેલ રવાપર રોડ ઉપર ચકીયા હનુમાનજી મંદિર પાસે વચ્ચોવચ મોતના કુવા જેવો ખાડો પડી જતા વેપારીઓએ અહીંથી પસાર થતા વાહનચાલકો અને રાહગીરો માટે ચેતવણી આપતું બોર્ડ ખાડામાં મૂકી તેના ઉપર લખાણ લખ્યું હતું કે, આ મોરબીનો નંબર વન રવાપર રોડ છે... અહી ખાડો છે....ધ્યાન રાખજો.... જો કે, આ બોર્ડ લાગ્યાના કલાકોમાં જ નગરપાલિકા તંત્ર દ્વારા અહીં પથ્થરની ભૂકી નાખી ખાડો બુરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ ગઈકાલે સાંજે અને રાત્રી દરમિયાન ફરી મઘરાજાએ ધુંઆધાર બેટિંગ શરુ કરતા આ જિદ્દીલો ખાડો આળસ ખંખેરી ફરી ડોકાતા રવાપર રોડના વેપારીઓ રોષે ભરાયા હતા અને આજે ખાડામાં મુકેલા બોર્ડમાં ધ્યાન રાખજો અહીં ભ્રષ્ટાચારનો ખાડો છે... રવાપર રોડ તેવું લખાણ લખતા લોકોનો ગુસ્સો હવે ધીમેધીમે વકરી રહ્યાના સંકેતો સાંપડી રહ્યા છે.