આજે ગણેશ ચતુર્થીના પાવન અવસરે લોકોએ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ભવ્ય મોટા પંડાલમાં તેમજ દરેક વિસ્તારમાં શેરી-ગલી કે ઘરોમાં વાજતે ગાજતે સ્થાપન કર્યું લોકો દરરોજ આરતી, પૂજન અર્ચન અને અન્નકૂટ ધરીને આરાધના કરશે મોરબી : દરેક શુભ કાર્યોમાં પ્રથમ પૂજાતા અને કોઈપણ વિઘ્ન સંકટ દૂર કરતા વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશ આજે ગણેશ ચતુર્થીના પાવન અવસરે શેરી ગલી કે ઘરોમાં બિરાજમાન થયા છે. મોરબીમાં આજે ગણપતી બાપા મોરિયાના નાદ સાથે દરેક વિસ્તારમાં, શેરી ગલીમાં તેમજ ઘરોમાં વાજતે ગાજતે ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે ભક્તિભાવથી સ્થાપન કર્યું છે. એ સાથે જ આજથી મોરબીવાસીઓ ગણેશજીની ભક્તિમાં એકાકાર થઈ જશે અને દસે દસ દિવસ ભક્તિભાવથી વિધ્નહર્તાની પૂજા અર્ચના કરશે. મોરબીમાં કોરોના કાળના બે વર્ષ બાદ અગાઉની જેમ જ તમામ જગ્યાએ આજથી ગણેશ મહોત્સવનો ભક્તિભાવથી પ્રારંભ થયો છે. આથી ગઈકાલે છેલ્લી ઘડી સુધી ગણપતિ દાદાની મૂર્તિની ધૂમ ખરીદી થઈ હતી. ગણપતિ દાદાના સ્થાપનની તૈયારીઓ માટે મોટાભાગના વિસ્તારોમાં, શેરી, ગલીઓમાં પંડાલ નાખવામાં આવ્યા છે. જ્યારે સો મોટા આયોજનમાં સૌથી મોટા અને ભવ્ય સિદ્ધિ વિનાયક કા રાજા અને પટેલ ગ્રુપ દ્વારા જાજરમાન આયોજન કરાયું છે. જેમાં ગણેશજીની ભવ્ય મૂર્તિ સાથે વિષેશ આકર્ષણો અને બાળકો સહિત મોટેરાઓને મન મોહી લેતી વસ્તુઓ પણ રાખવામાં આવી છે. તેમજ કાલિકા પ્લોટ, સવાસર પ્લોટ, જુના, નવા બસ સ્ટેન્ડ, સ્ટેશન રોડ, કાયાજી પ્લોટ, શનાળા રોડ, રવાપર રોડ, અવની ચોકડીની અનેક સોસાયટીમાં, જુના મહાજન ચોક, રામચોક, સામાકાંઠે રિલીફ, રોટરી, જનકલ્યાણ, રામકૃષ્ણનગર વર્ધમાન નગર, સોઓરડી, જુના અને નવા ગુ.હા. બોર્ડ સહિતના વિસ્તારોમાં આજે ગણેશ ચતુર્થીએ વાજતે ગાજતે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી. અને દસે દસ દિવસ દરેક ગણેશ મહોત્સવમાં સવાર-સાંજ પૂજા અર્ચના, આરતી તેમજ ધાર્મિકની સાથે સાંસ્કૃતિક કાર્યકમો યોજાશે અને હા ખાસ ગણપતિને પ્રિય એવા મોદક એટલે લાડુ ધરાશે. દરેક વિસ્તારમાં ભગવાન ગણેશજીની સ્થાપના માટે ભવ્ય વાજતે ગાજતે યાત્રા કાઢવામાં આવી હતી.સર્વત્ર ગણપતિ દાદાના ડીજે ઉપર ભક્તિગીતોની ધમાલ મચી હતી. સાથેસાથે એકબીજા ઉપર અબીલ ગુલાલની છોડો ઉડાડીને ગણપતિ બાપાને ભારે હેતથી આવકાર્યા હતા. આજથી ગણેશ મહોત્સવ શરૂ થતાં નવ-દસ દિવસ સુધી ગૌરીનંદન ભગવાન શ્રીગણેશની ભક્તિ કરવા લોકોમાં ભારે ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. આજે ગણેશ ચતુર્થીના દિવસે દરેક લોકોએ મોદક બનાવીને પ્રથમ મોદકનો પ્રસાદ ગણેશજીને અર્પણ કર્યા હતો અને પ્રથમ ભગવાનને પ્રસાદ ચડાવીને લોકોએ પણ લાડુનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. બે વર્ષ બાદ મુક્તપણે ગણેશ મહોત્સવના મોટા આયોજન સાથે તમામ જગ્યાએ અને ઘરોમાં ગણપતિ દાદાને બિરાજમાન કરીને ભક્તિ કીર્તન શરૂ કર્યા છે. લોકો દરરોજ આરતી, પૂજન અર્ચન અને અન્નકૂટ ધરીને આરાધના કરશે