તમામ વેપારી એસોસિએશનનો જીતુભાઈ સોમાણીના સમર્થનમાં ગામ બંધમાં જોડાશે. વાંકાનેર : વાંકાનેરમાં છેલ્લા ૧૨ વર્ષથી માર્કેટચોક કા રાજા ગણપતિ ઉત્સવનું આયોજન કરી રહેલા જીતુભાઇ સોમાણીને આ વર્ષે ગ્રાઉન્ડ ન ફાળવાતા ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે.જેને છ દિવસ વીતવા છતાં કોઈ કાર્યવાહી ન થતા કાલે સોમવારે વાંકાનેર બંધનું એલાન અપાયું છે. ગણપતિ ઉત્સવમાં આવેલા વિઘ્ન મામલે શનિવાર રાત્રે સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ, આશરે પચીસ વેપારી એસોસિએશન, સામાજિક અગ્રણીઓ સહિતનાઓની એક મિટિંગનું આયોજન જીતુભાઈ સોમાણીની ઉપવાસ છાવણી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં તમામ એક મતે નિર્ણય લઇ સોમવારના રોજ વાંકાનેર બંધનું એલાન આપવામા આવ્યું હતું. તેમજ તમામ વેપારી સંગઠનો દ્વારા બંધ પાડી સવારે ૧૦ વાગ્યે માર્કેટચોક ખાતે એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે તેવું મિટિંગમાં જણાવવામાં આવ્યું હતું. આ મિટિંગમાં સાધુ-સંતો, આર.એસ.એસ, શિવસેના, વી.એચ.પી, ધાર્મિક સંસ્થાઓ, વેપારી સંગઠનો, સામાજિક અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જીતુભાઈ સોમાણીના સમર્થનમાં હાજર રહ્યા હતા અને સોમાવારે ગામ બંધના એલાનને સમર્થન આપ્યું હતું.