15 ઓગસ્ટના કૌન બનેગા કરોડપતિ શો મા મોરબીના ઉદ્યોગપતિ સજોડે મહેમાન બની સદીના મહાનાયકને યાદગાર ભેટ આપી મોરબી : સોની ટીવી ઉપર આવતા કૌન બનેગા કરોડપતિ શો ના નવા તબક્કામાં મોરબીના ઉદ્યોગપતિ સજોડે હાજર રહયા હતા અને સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચનજીને રૂબરૂ મળી યાદગાર સંભારણા રૂપે મોરબીના ઐતિહાસિક નગર દરવાજાની પ્રતિકૃતિ ભેટ આપી હતી. મોરબીમાં પોલીપેક ઇન્ડસ્ટ્રીઝ અને સિમેન્ટના વ્યવસાય સાથે જોડાયેલા નિખિલભાઈ ઓમપ્રકાશભાઈ કાબરા અને તેમના પત્નિ પારુલબેન નીખીલભાઈ કાબરા તાજેતરમાં કૌન બનેગા કરોડપતિ શો ના સાક્ષી બન્યા હતા. તા. 15 ઓગસ્ટના રોજ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનજી સાથે રૂબરૂ મુલાકાત કરનાર મોરબીનું દંપતી આ મુલાકાતથી અંત્યન્ત ભાવ વિભોર બન્યું હતું. વધુમાં મોરબીના ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ નિખિલભાઈ કાબરાએ મહાનાયક અમિતાભ બચ્ચનજીને મોરબીના ઐતિહાસિક નગર દરવાજાની કૃતિ એવા ક્લોક ટાવરની ભેટ આપી હતી. આ મુલાકાત અંગે નિખિલભાઈ કાબરાએ જણાવ્યું હતું કે મુંબઈના એક એનજીઓ મારફતે તેમને કૌન બનેગા કરોડપતિમાં ગેસ્ટ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આ શો દરમિયાન મહાનાયક અમિતાભ બચ્ચન સાથે તેઓને દસેક મિનિટ મુલાકાતનો સમય મળ્યો હતો જેમા તેઓએ મોરબીની વિશેષતા અંગે મહાનાયકને વાકેફ કર્યા હોવાનું જણાવ્યું હતું.