તવા પનીર સબ્જી તમે આ રીતે ઘરે બનાવશો તો ટેસ્ટમાં રેસ્ટોરન્ટ જેવી બનશે અને ખાવાની પણ મજા આવશે. મોરબી : પનીર સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આજના આ સમયમાં અનેક મોટી-મોટી બીમારીઓમાં પણ ડોક્ટર પનીર ખાવાની સલાહ આપતા હોય છે. પનીર પ્રોટીન, કેલ્શિયમથી ભરપૂર હોય છે. પનીરમાંથી અનેક પ્રકારની ડિશ તૈયાર કરવામાં આવે છે, જેમ કે શાહી પનીર, પનીર ટિક્કા, મટર-પનીર, તવા પનીર...અનેક લોકો ઘરે પનીરમાંથી જાતજાતની ડિશ તૈયાર કરતા હોય છે. આમ, દરેક લોકોના ઘરનો ટેસ્ટ અલગ-અલગ હોય છે. તો આજે અમે તમને ટ્વિસ્ટ કરીને પનીરમાંથી એક રેસિપી શીખવાડીશું. જેનું નામ છે તવા પનીર. તો જાણી લો ઘરે કેવી રીતે બનાવશો તવા પનીરની સબ્જી... સામગ્રી : 500 ગ્રામ પનીર લાંબી સમારેલી ડુંગળી ઝીણાં સમારેલા કેપ્સિકમ મરચા લસણની પેસ્ટ આદુનો નાનો ટુકડો ઝીણાં સમારેલા મરચાં 600 ગ્રામ દહીં ધાણાજીરું ચાટ મસાલો ફુદીનાના પાન ઝીણી સમારેલી કોથમીર સ્વાદાનુંસાર મીઠું તેલ બટર મલાઇ બનાવવાની રીત : તવા પનીર બનાવવા માટે સૌ પ્રથમ પનીરને નાના-નાના ટુકડામાં કટ કરી લો. કટ કરેલા પનીરને એક પ્લેટમાં લઇ લો. હવે દહીંને એક વાસણમાં લઇ લો અને બરાબર ફેટી લો. ત્યારબાદ દહીંમાં લસણ-આદુની પેસ્ટ, લીલા મરચા, ધાણાજીરું, ચાટ મસાલો, ફુદીનાના પાન અને મીઠું નાંખીને બરાબર મિક્સ કરી લો. પછી દહીંના મિશ્રણમાં પનીરના ટુકડા મિક્સ કરી લો અને 2 થી 3 કલાક માટે એમ જ રહેવા દો. આ બધી પ્રોસેસ થઇ જાય પછી એક પેન લો અને એમાં તેલ અને બટર ગરમ કરવા મુકો. તેલ અને બટર ગરમ થઇ જાય એટલે એમાં ડુંગળી અને શિમલા મરચા નાંખીને ફ્રાય કરી લો. મરચા અને ડુંગળી આછા બ્રાઉન રંગના થાય એટલે એમાં પનીર અને દહીંનું મિશ્રણ એડ કરો. આ મિશ્રણને હવે 8 થી 10 મિનિટ માટે ધીમા ગેસે થવા દો. હવે એક પનીર લો અને એના કટકા કરીને ફ્રાય કરી લો. પછી આ પનીર ઉપરથી એડ કરો. પનીરને તમે છીણીને પણ થોડુ નાંખી શકો છો. ત્યારબાદ મલાઇ એડ કરો અને ગેસ બંધ કરી દો. તો તૈયાર છે તવા પનીર.