બહુજન સમાજ પાર્ટી દ્વારા ટંકારા મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર ટંકારા : બહુજન સમાજ પાર્ટી દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે રાજસ્થાનમાં જાતિવાદના કારણે બાળક સાથે ભેદભાવ કરી માર મારતા સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ અંગે તેમને ન્યાય આપવામાં આવે. રાજસ્થાનમાં જાતી વાદી વિચારધારાનો ભોગ બનનાર માસુમ બાળકને તાત્કાલિક ન્યાય મળે એ માટે બહુજન સમાજ પાર્ટી દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. બહુજન સમાજ પાર્ટી ટંકારા દ્વારા રાજસ્થાનના જાલોર જિલ્લામાં આવેલા સાયલા તાલુકાનાં અનુસુચિત જાતિના ત્રીજા ધોરણમાં ભણતા આઠ વર્ષના ઈન્દ્ર દેવરામને અલગ રાખેલા પાણીના મટકામાંથી તરસ છીપાવવા પાણી પીવા માત્રથી સરસ્વતી વિદ્યા મંદિરના સંચાલક અને શિક્ષકે બેરહેમી પૂર્વક માર મારતાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. જ્યારે સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે માસુમ બાળક ઈન્દ્ર મેઘવાળને ક્યાં ખબર હતી કે તે કઈ જાતિનો છે.જાતિવાદના ઝેરી સાંપને તાકીદે નાથવા ચેતવણી આપતા બહુજન સમાજ પાર્ટી ટંકારા એ મામલતદાર ટંકારાને આવેદન આપી ચિમકી આપેલ છે. અને ગુજરાતમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે એવી અપીલ કરેલ છે. ગરીબ, પીડીત, દલિત,શોષિત અને વંચિતના હક્ક અધિકારની વાત કરતા બહુજન સમાજ પાર્ટીના આગેવાનો હેમંતભાઇ ચાવડા ટંકારા, પ્રવીણભાઈ ચૌહાણ, દિલીપભાઇ મકવાણા, અશ્વિનભાઈ પરમાર, હસમુખ પડાયા, જીવરાજભાઈ, નરેન્દ્રભાઈ, દેવજીભાઈ તેમજ બહોળી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતાં.