17 કિલોમીટરના રોડનું કામ ત્રણ વર્ષમાં માત્ર 20 ટકા જેટલું જ થયું હળવદ : હળવદ તાલુકાના ચરાડવાથી સૂરવદર ગામને જોડતા રોડનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ગોકળગતીએ ચાલતું હોવાના કારણે વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે અને ના છૂટકે ઉબડખાબડ વાળા રોડ પરથી પસાર થવું પડે છે. હળવદ પંથકમાં એક ગામથી બીજા ગામને જોડતા મોટાભાગના રોડ રસ્તાઓ માત્ર કહેવા પૂરતા જ રહ્યા છે. તો બીજી તરફ ચરાડવા સુરવદર રોડના કામમાં પણ ત્રણ ત્રણ વર્ષ થવા છતાં કામ પૂર્ણ થતું નથી જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હળવદ તાલુકાના ચરાડવાથી સુરવદર ગામને જોડતા રોડનું કામ વર્ષ 2019 માં શરૂ થયું હતું જે વર્ષ 2022 પૂરું થવા આવ્યું પણ આ રોડનું કામ પૂર્ણ થયું નથી. ઓછામાં પૂરું હાલ ચોમાસામાં રોડ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા હોય તેની સાથે સાથે રોડનું કામ પણ ચાલતું હોય જેથી માટી કપચીના ઢગલા પણ રોડ પર જ કરી દેવામાં આવતા હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે. આ અંગે સહદેવભાઈ ગણેશિયાએ જણાવ્યું હતું કે અહીં રોડનું કામ ચાલતું હોય જેથી માટી કપચીના ઢગલા પણ કરવામાં આવ્યા છે તો બીજી તરફ સૂચનાનું કોઈ પણ જાતનું બોર્ડ પણ રસ્તામાં એક પણ જગ્યાએ મારવામાં આવ્યું નથી જેના કારણે નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે તો બીજી તરફ હજુ રોડ નું કામ પૂરું પણ પુરૂ નથી થયું ત્યાં જે નાલા બનાવવામાં આવ્યા છે. તેના પેચીંગના સળિયા પણ દેખાવા લાગ્યા છે રોડનું કામ યોગ્ય અને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે.