નગરપાલિકા સંકુલ અને લીલાપર રોડ ઉપર શિવલિંગ આકારના ફૂલથી વૃક્ષ શોભી ઉઠ્યું મોરબી : પવિત્ર શ્રાવણ માસમાં મોરબીના લીલાપર રોડ અને નગરપાલિકા સંકુલમાં આવેલા બે અલભ્ય કૈલાસપતિ વૃક્ષ સોળે કળાએ ખીલી ઉઠ્યું હોવાનું મોરબીના પ્રકૃતિ પ્રેમી જીતુભાઇ ઠક્કરે નોંધ્યું છે. અલભ્ય એવા વૃક્ષમાં તોપનાં ગોળા જેવા આકારનું ફળ તો વૃક્ષનાં ઘણા વર્ષોનાં ઉછેર પછી જોવા મળે છે. મોરબીના પ્રકૃતિપ્રેમી જીતુભાઇ ઠક્કરના જણાવ્યા મુજબ શ્રાવણ મહિનામાં ભગવાન મહાદેવને પ્રિય એવા કૈલાસપતિના વૃક્ષ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. તેઓ ઉમેરે છે કે કૈલાસપતિના વૃક્ષ બહું જૂજ જગ્યાએ જોવા મળે છે સદભાગ્યે આપણે ત્યાં મોરબીમાં આ વૃક્ષ નગરપાલિકાના ગ્રાઉન્ડમાં તથા લીલાપર રોડ ઉપર મુળુભાઈ ગજીયાના ઘરે જોવા મળ્યા છે. વધુમાં પર્યાવરણ પ્રેમી જીતુભાઇ ઠક્કર આ બંન્ને સ્થળની જાત મુલાકાત લઈને આ વૃક્ષની વિશેષતા વિશે માહીતી આપતાં ઉમેરે છે કે, કૈલાસપતિ વૃક્ષમાં ફળ અને ફૂલ બંન્ને અલગ અલગ વિકસે છે. તોપનાં ગોળા જેવા આકારનું ફળ તો વૃક્ષનાં ઘણા વર્ષોનાં ઉછેર પછી જોવા મળે છે પરંતુ ફૂલ દરેક સીઝનમાં થડના ભાગે વેલામાંથી નિયમિત રીતે ખીલે છે.ફૂલની વિશેષતા એ છે કે તેનો આકાર અદલ શિવલિંગ જેવો હોય છે અને ફુલનાં ઉપરનાં ભાગનો હિસ્સો શિવલિંગ ઉપર શેષનાગની જેમ વીંટલાયેલો હોય છે.સુગંધી ફૂલ વહેલી સવારે પલ્લવીત થઈને બપોર સુધીમાં ખરી પડે છે.