શહેરના હાર્દ સમાન નહેરૂ ગેટ ગંદકીથી ખદબદી ઉઠ્યો છતાં લાજ શરમ વગરના પાલિકા તંત્ર દ્વારા સફાઈ નથી કરાતી : રમેશ રબારી મોરબી : ચોમાસાના પ્રારંભે જ મોરબીમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું હોય પાલિકાએ મોરબી માટે મારુ મોરબી... ગંધારૂ, ગોબરૂ મોરબી સૂત્ર આપ્યું હોવાની લોકોને પ્રતીતિ થઇ રહી છે......કાગળ ઉપરના વાઘ જેવી મોરબી પાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર મેળવી રહી છે પરંતુ હકીકત કંઈક જુદી જ છે, શહેરના હાર્દ સમાન નહેરૂ ગેટ પાલિકાની બેદરકારીથી ઉભરાતી ગટરના પાણી અને કચરાના ઢગલાની ગંદકીથી ખદબદતો હોવા છતાં ભાજપ શાસિત પાલિકાના સત્તાધીશો કે અધિકારીઓના પેટનું પાણી હલતું ન હોવાનો આરોપ કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ લગાવ્યો છે. મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ નિવેદન આપતા જણાવ્યું છે કે, મોરબી શહેરની ભાજપ શાસિત નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં સાવ નિષ્ફળ ગયેલ છે. શહેરના હાર્દ સમાન નહેરૂ ગેટ પાસે રોજ સવાર સાંજ હજારો લોકો આવન જવન કરે છે અને પાલિકાના અઘિકારી પદાધિકારીઓ પણ ત્યાંથી નીકળે છે પણ આ લોકોને છેલ્લા ત્રણ દિવસથી જય હિંદ ટોકીજ પાસે મેઇન રોડ ઉપર અને નહેરુ ગેટ પાસે ઉભરાતી ગટરના ગંદા પાણી દેખાતા નથી. વધુમાં તેઓએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, નિષ્ફળ અને પ્રજા વિરોઘી ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મોરબીના હાર્દ સમા નહેરૂ ગેટ પાસે ઉભરાતી ગટરના ગંદા પાણી દેખાતા નથી કે જાણી જોયને કામ કરતા નથી એ પ્રજા સમજવા માગે છે ? આ ઉભરાતી ગટરના ગંદા પાણી અને કચરાની દુર્ગંધથી લોકો પરેશાન થઈ ગયા છે અને રોગચાળોનો ફેલાવો થાય તે પહેલાં આં ગંદકી દૂર કરવા માંગ પણ ઉઠાવી છે.