હળવદ : ગઈકાલે તારીખે ૭મીના રોજ ધ્રાંગધ્રા બાયપાસ પર આવેલ હરીપર ગામ પાસે આવેલ રેલવે ઓવર બ્રિજ પર આગની ઘટના બની હતી. જેમાં અનેક વાહનો આગની જપેટમાં આવી ગયા હતા અને ૧ વ્યક્તિનું કરુણ મોત પણ નિપજ્યું હતું. ત્યારે આગની આ ઘટનામાં હળવદ ફાયર બ્રિગેડની ટીમે ઉમદા કામગીરી બજાવીને આગને કાબૂમાં લેવા પ્રયત્ન હાથ ધર્યા હતા. સરખેજ-માળિયા હાઇવે પર સતત વાહન વ્યવહાર ચાલુ હોવાના લીધે આ રોડ પર અતિશય ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનોની લાંબી લાઇનો લાગી હતી. ત્યારે અકસ્માત થયેલા વાહનમાં જ્વલંતશીલ કેમિકલ હોય તે વાહનને રોડ પરથી દુર કરવા જતાં આગ લાગી હતી અને આગ જોત જોતામાં પ્રસરી ગઈ હતી. ત્યારે અતિશય જ્વલંતશીલ પ્રવાહી કેમિકલના કારણે આગ કાબુમાં લેવી મુશ્કેલ હતી. આ આગજનીની ઘટનામાં સ્પોટને લગતી કામગીરી હળવદ ફાયર સ્ટેશનમાં ઓફિસર રોહિત મહેતા અને અમદાવાદ સબ ઓફિસર હિતુભા ગઢવીની દેખરેખ હેઠળ થઈ હતી. જેમાં ફાયર ફાયટર ગાડી અમદાવાદથી ૨ ગાડી , હળવદ થી ૧ ગાડી અને સુરેન્દ્રનગરની ૨ ગાડી થતાં ધ્રાંગધ્રાની ૨ ફાયર ફાયટર ગાડીથી સંપૂર્ણ આગને કાબુમાં લેવામાં આવી હતી. જેમાં હળવદ નગરપાલિકાના સ્ટાફમાંથી ધર્મેન્દ્રભાઈ ગઢવી , દીપકભાઈ ગઢવી , રોહિતભાઈ મહેતા (STO) એ નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી હતી. સાથે વહીવટી તંત્ર અને એલ એન્ડ ટી કંપનીના જવાબદાર કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનોની મહેનત થકી ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ થઈ ગયો છે. ત્યારે રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને આ રાહત કામગીરીમાં સામેલ સર્વેની ચોમેર પ્રશંસા થઈ રહી છે.