ભડીયાદ ગામના જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત મોરબી : મોરબીમાં નઝરબાગથી ફીલ્ટર હાઉસ સુધીનો આર.સી.સી. રસ્તો પુરો કરવા અંગે ભડીયાદ ગામના જાગૃત નાગરિકો અશોકભાઈ બાબુભાઈ કોરી અને મહેશભાઈ મંગાભાઈ ભરવાડ દ્વારા મોરબી જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે નઝરબાગથી ફીલ્ટર હાઉસ સુધીની વચ્ચે આવેલ બોધનગર સોસાયટીમાં પાણીના ટાંકા પાસે આશરે ત્રીસ પરીવારો રહે છે અને આ જગ્યાની આજુબાજુમાં રહેણાંક વિસ્તાર છે તેમજ બે મેલડી માતાના મંદિરો પણ આવેલ છે. જે જગ્યાએ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. સરકાર દ્વારા નઝરબાગથી ફીલ્ટર હાઉસ સુધીનો આર.સી.સી. રસ્તો મંજુર કરવામાં આવેલ છે. સરકારની આ યોજના સરાહનીય અને પ્રશંસાપાત્ર છે. પરંતુ આ રસ્તો જે નઝરબાગથી શરૂ કરીને ફીલ્ટર હાઉસ સુધી પુરો થવો જોઈએ તેને બદલે કોઈપણ કારણોસર અધુરો રહી ગયેલ છે. આમ, નઝરબાગથી ફીલ્ટર હાઉસના દરવાજા પાસે આશરે 70થી 100 મીટર જેટલો રસ્તો આર.સી.સી. બનાવવામાં આવેલ છે, જે સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ છે. તો આ અધુરો આર.સી.સી. રસ્તો વહેલી તકે પૂર્ણ કરાવવા અરજ કરવામાં આવી છે.