વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને અગ્રણીઓએ પ્રધાનમંત્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો મોરબી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યા સમિક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે નિરીક્ષણ કર્યું અને વિદ્યાર્થીઓ, શિક્ષકો, એસ.એમ.સી.ના સભ્યો સાથે પ્રશ્નોતરી કરી હતી. ત્યારે મોરબીમાં આવેલ નાલંદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને અગ્રણીઓએ પ્રધાનમંત્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો. ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યની મુલાકાતે તા. ૧૮, ૧૯ અને ૨૦ એપ્રિલ ૨૦૨૨ ના રોજ હોય, પ્રધાનમંત્રી તા. ૧૮/૦૪/૨૦૨૨ના રોજ સાંજના ૬:૦૦થી ૭:૧૦ કલાક સુધીના સમયગાળા દરમ્યાન ગાંધીનગરના શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન શિક્ષણ ક્ષેત્ર દ્વારા હાંસલ કરેલ સિદ્ધિઓ, ટેકનોલોજીની દ્રષ્ટિએ આવેલ આમુલ પરિવર્તન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે ગુજરાતમાં થયેલ પ્રગતિશીલ કાર્યો, સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતા બાળકોના ડેટાબેઝ, તમામ શૈક્ષણિક કર્મચારીઓના ડેટાબેઝ, સ્કુલ ઓફ એક્સલન્સ વગેરેથી પ્રધાનમંત્રીને અવગત કરવામાં આવ્યા હતા. ત્યારે સૌના પ્રયત્નોની ઝાંખી પ્રધાનમંત્રીએ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજી વાંકી પ્રા.શાળા કચ્છ, કુકરમુંડા તાપી જિલ્લાની પ્રા.શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરી હતી. દીક્ષા પોર્ટલ તેમજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર વિશે વાતો કરી હતી. શિક્ષણ ક્ષેત્રમાં સૌના ભગીરથ પ્રયાસોની જાણ સમાજના છેવાડાના નાગરિક સુધી પહોચી શકે તે અર્થે શાળા ક્ક્ષાએ ગ્રામજનો, સમાજના અગ્રણીઓ, સરપંચ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સદસ્ય, એસ.એમ.સી.સભ્યઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ સૌ શિક્ષકો મળી ખુબ મોટી સંખ્યામાં નાલંદા વિદ્યાલય મોરબી ખાતે હાજર રહી આ કાર્યક્રમમાં સાંજે ૬.૦૦ થી ૮.૧૦ કલાક સુધી વિવિધ ડિજીટલ માધ્યમો જેવા કે યુ ટ્યુબ, માઇક્રોસોફ્ટ ટીમ, બાયસેગ, ડીડી ગિરનાર વગેરે દ્વારા કાર્યક્રમ નિહાળી સહભાગી બન્યા હતા. આ પ્રસંગ યાદગાર બની રહે તે માટે નાલંદા વિદ્યાલય ખાતે દુર્લભજીભાઈ દેથરીયા, પ્રમુખ જિલ્લા ભાજપ પ્રવિણભાઈ સોનગ્રા, ચેરમેન શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત મોરબી બી.એમ.સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ટંકારા, દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, કિરણભાઈ કાચરોલા મંત્રી, હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી, હર્ષદભાઈ ગામી, જયેશભાઇ ગામી, કાર્તિકભાઈ પાંચોટિયા, નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટીઓ તેમજ ખુબ જ મોટી સંખ્યામાં શિક્ષકોએ રવાપર તાલુકા શાળા નંબર 1 અને 2, સાર્થક વિદ્યા મંદિર, બી.આર.સી. ભવન-મોરબી, ટંકારા, હળવદ, વાંકાનેર, માળિયા વગેરે સ્થળ ખાતે ઉપસ્થિત રહી કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા પ્રવિણભાઈ ભોરણીયા મદદનીશ ડી.પી.સી. મોરબી, પ્રવિણભાઈ અંબારિયા ડી.ઓ. કચેરી મોરબી, હિતેશભાઈ મર્થક, અભિજીત રાણા એમ.આઈ.એસ. વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.