અગાઉ 300 જેટલા યુનિટો ધમધમતા, હવે માત્ર 30 જ બચ્યા : 12 ટકા જીએસટી અને ઉંચી રો-મટીરીયલ કોસ્ટે ઉદ્યોગની કમ્મર તોડી નાખી જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવા મંત્રી બ્રિજેશ મેરજા અને સાંસદ મોહન કુંડારિયાની સીએમને રજુઆત મોરબી : એક સમયે મોરબીની શાન ગણાતો નળિયા ઉદ્યોગ હાલ મૃતપાય અવસ્થામાં છે. નળિયા ઉદ્યોગના યુનિટો 300થી ઘટીને 30એ પહોંચી ગયા છે. ત્યારે હવે આ બચેલા યુનિટો પણ રો-મટીરીયલની ઊંચી કોસ્ટ ઉપરાંત જીએસટીના ઉચા સ્લેબને કારણે બંધ થવાના આરે પહોંચ્યા છે. ત્યારે આ અંગે રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઇ કુંડારિયાએ મુખ્યમંત્રી અને નાણામંત્રીને રજુઆત પણ કરી છે. મોરબીના નળિયા ઉદ્યોગના પ્રશ્નો અંગે રૂફિંગ ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ એસો.એ કરેલી રજુઆતને ધ્યાને લઈને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઇ કુંડારિયા હરકતમાં આવ્યા છે. આ બન્ને નેતાઓએ મુખ્યમંત્રી અને નાણામંત્રીને રજુઆત કરી પ્રશ્નનું નિરાકરણ કરવા ભલામણ કરી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે નળિયા ઉદ્યોગ પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. એક સમયે મોરબીમાં 300 જેટલા નળિયા બનાવતા યુનિટો કાર્યરત હતા. જે આજે 30 જેટલા જ બચ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે આ નળિયા ઉદ્યોગ હાલ મૃતપાય અવસ્થામાં જઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નળીયા ઉદ્યોગને સીઝનલ ઉદ્યોગ જાહેર કરવામાં આવ્યો છે. વેટ અને એક્સાઇઝ તેમજ ઇએસઆઈમાં માફી આપી છે. જેને ધ્યાને લઇ જીએસટીનો સ્લેબ પણ ઘટાડીને ફરી 5 ટકા કરી આપવામાં આવે તેવી મોરબી રૂફિંગ ટાઇલ્સ મેન્યુ. એસોની માંગ છે. આ બાબતે ચકાસાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ભલામણ છે.