રિક્ષાચાલકો અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી થતાં રીક્ષાચાલકોએ ડીવાય.એસ.પી.ને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : મોરબીમાં નહેરુ ગેટ નજીક રિક્ષાચાલકો અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી થતાં પોલીસ જવાનો હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે રીક્ષાચાલકોએ ડીવાય.એસ.પી.ને આવેદનપત્ર પાઠવ્યું છે. મોરબી શહેરમાં નહેરુ ગેટ નજીક પૂનમ કેસેટ પાસે ગઈકાલે રિક્ષાચાલકો અને જી.આર.ડી. કે ટી.આર.બી. જવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઘટના અંગે રિક્ષાચાલકોએ જણાવ્યા અનુસાર કોઈપણ ગુના વિના પોલીસે એક રિક્ષા મોરબી સીટી એ ડિવિઝન કચેરી ખાતે લઇ જવાની વાત કરતા રિક્ષાચાલકોએ કારણ માગ્યું હતું. જેથી, પોલીસ જવાનો ઉશ્કેરાઈ જતા તેઓએ હાથચાલાકી કરી હતી. અને રિક્ષા જપ્ત કરી હતી. આથી, પોલીસ જવાનો હેરાન કરતા હોવાની રાવ સાથે રિક્ષાચાલકો ડીવાય.એસ.પી.ને રજૂઆત ગયા હતા. પરંતુ ડીવાય.એસ.પી. હાજર ન હોવાથી અન્ય અધિકારીને આવેદન આપ્યું હતું. અને સી.સી.ટી.વી. કેમેરા ચેક કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.