તરઘરી ગ્રામ પંચાયત દ્વારા રાજ્યમંત્રીને આવેદન અપાયું માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના તરઘરી ગામથી નાના દહિંસરા તરફના માર્ગના જોબ નંબર આપી મંજુરી પ્રક્રિયા આગળ વધારવાની માંગ સાથે તરઘરી ગ્રામ પંચાયત દ્વારા મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને લેખિતમાં આવેદન કરવામાં આવ્યું છે. આ આવેદન પત્રમાં જણાવાયું છે કે માળીયા (મી.) તાલુકાના તરઘરી ગામથી નાના દહિંસર ગામને જોડતા ચાર કિલોમીટરના રસ્તાની મંજુરી માટેની દરખાસ્ત ડેપ્યુટી એન્જિનિયર દ્વારા રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. કારણ કે ભાવપર, બગસરા, નાના ભેલા, મોટા ભેલા, ચાંચાવદરડા અને તરઘરી જેવા ગામોના મજૂરો નવલખી પોર્ટ પર મજૂરી કરવા જતાં હોય છે, ત્યારે તેઓ મોટા દહિંસરા ખાતે આવેલ બેંકમાં કે ચીજવસ્તુઓ લેવાના કામેથી આ માર્ગ પર અવરજવર કરે છે. તેથી, તેઓની સુવિધા માટે અને સમય બચાવવા માટે રોડની મંજૂરીની પ્રક્રિયા આગળ વધારવાની માંગ ગામના સરપંચ સાગરભાઈએ કરી છે.