મોરબી અપડેટની મહેનત રંગ લાવી : 1 કલાક અને 13 મિનિટનું લાઈવ કરી તંત્રને રસ્તો બતાવ્યા બાદ તંત્રએ દાખવ્યો હકારાત્મક અભિગમ મોરબી : મોરબી- પીપળી રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય અકસ્માત ઝોન બની ગયો હોય, આ પ્રશ્નને લઈને સામાન્ય લોકો અને ઉદ્યોગકારોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો હતો. ત્યારે મોરબી અપડેટે આ પ્રશ્ને 1 કલાક અને 13 મિનિટનું લાઈવ કરી તંત્રની ઢીલી નીતિને જગજાહેર કરી હતી. જો કે મોરબી અપડેટનું આ લાઈવ સફળ રહ્યું છે. મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આ રોડને તાકીદે રીપેર કરવાના આદેશો છોડ્યા છે. મોરબી-પીપળી-જેતપર-અણીયારી રોડ જે અત્યારે અત્યંત બિસ્માર હાલતમાં છે તે તાકીદે રીપેર કરવા માટેની લોકલાગણી અને માંગણીને ધ્યાને રાખી મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય અને રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાએ માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓનું ફરીથી ધ્યાન દોરી આ રસ્તાનું કામ તાત્કાલિક ચાલુ થાય તે માટે આદેશો છોડ્યા છે. આ ઉપરાંત મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કાલે તા.રપ-૧-૨૦૦રને મંગળવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે આ રસ્તાની કામગીરી સાથે સંકળાયેલા નાયબ કાર્યપાલક ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને અધિક્ષક ઇજનેરની ઉપસ્થિતિમાં એક બેઠક રાજકોટ ખાતે બોલાવીછે. જેમાં આ રસ્તાની ત્વરિત રીપેરીંગ કામગીરી તેમજ ચારમાર્ગીય રસ્તો બનાવવાની કામગીરી કરવા સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક ઝોન પીપળી રોડની ભયાનક દુર્દશાથી રાહદારીઓ પર જીવનું જોખમ તોળાઈ રહ્યું હતું. માર્ગની અધોગતિથી ઉદ્યોગપતિઓ થાક્યા હતા. આ રોડ ઉપર કારખાનું ધરવવામાં શરમ અનુભવતા હોવાનું કહેનાર કારખાનેદારના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.