ઘુંટુ રોડ ઉપર ધર્મગોલ્ડ એસ્ટેટ પાછળ મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડ્યો મોરબી : મોરબીના ઘુંટુ ગામે રહેતા વૃદ્ધ ગતરાત્રીના ઘેરથી વાડીએ ગયા બાદ આજે ઘુંટુ રોડ ઉપરથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મફલરથી ગળેટૂંપો આપી વૃદ્ધની હત્યા નિપજાવાઇ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ ધર્મજીવન એસ્ટેટ પાછળ લાશ પડી હોવાનું જાણવા મળતા ઘુંટુ ગામના મહિલા સરપંચના પતિ દેવજીભાઈ પરેચાએ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પીઆઇ ગોઢાણીયા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ઘુંટુ ગમે રહેતા ધરમશીભાઈ પુંજાભાઈ પરેચા ઉ.68 હોવાનું બહાર આવ્યું છે. વધુમાં મૃતક ધરમશીભાઈ પુંજાભાઈ પરેચા ગઈકાલે સાંજે પોતાના ઘેરથી વાડીએ જવાનું કહીને નીકળ્યા હતા બાદમાં આજે તેમની લાશ મળી આવી હતી. વધુમાં ઘટનાસ્થળે દોડી ગયેલ પોલીસ સ્ટાફે વૃદ્ધની ગળેટૂંપો આપી હત્યા કરાઈ હોવાનું જણાવી રહી છે. ઘટના મામલે હાલ પોલીસે ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે.