આરોગ્ય વિભાગ આગામી સાત દિવસમાં 15થી18 વર્ષના તરુણ - યુવકોને આપશે કોરોના વેકસીન મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલી જાહેરાત મુજબ આવતીકાલે સોમવારથી મોરબી શહેર જિલ્લામાં 15થી18 વર્ષના તરૂણો - યુવાનોને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણ કરવાનો શુભારંભ કરશે. પ્રથમ દિવસે 235 શાળાના 14000 વિદ્યાર્થીઓને કોરોના કવચ આપવાનો લક્ષ્યાંક રખાયો છે અને આવનારા સાત દિવસમાં જિલ્લાના 41 હજાર જેટલા તમામ તરૂણોને રસીકરણ કરવા નક્કી કરાયું છે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલે તા.3 જાન્યુઆરીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરાત મુજબ 15થી18 વર્ષના તરૂણો અને યુવાનોને કોરોના રસીકરણ કરવા નક્કર આયોજન કરી લીધું છે જે અંતર્ગત શહેર અને જિલ્લાની કુલ મળી 235 શાળાઓના 14 હજાર તરૂણો અને યુવાનોને શાળા અને કોલેજ સંકુલમાં જ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં 15થી18 વર્ષની વયજુથમાં કુલ 41 હજારથી વધુ તરૂણો અને યુવાનોનો સમાવેશ થાય છે. જે બાબતને ધ્યાને લઇ આરોગ્ય વિભાગ દ્વારા જુદી - જુદી શાળા અને કોલેજોમાં વેકસીનેશન કેમ્પ યોજી આગામી સાત દિવસમાં જ સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશન સાથે કોરોના વેકસીન આપી તરૂણો અને યુવકોને કોરોના સામે સુરક્ષાચક્ર અપાશે.