1929માં સરદાર વલ્લભભાઈ પટેલ મોરબીમાં કાઠિયાવાડ રાજકીય પરિષદનું પાંચમું અધિવેશન સંબોધ્યું હતું

- text


લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ મોરબી સાથેનું સંભારણું

મોરબી : કાઠિયાવાડ રાજકીય પરિષદનું પાંચમું અધિવેશન મોરબીમાં ૧૯૨૯માં મળ્યું હતું અને તેના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ વરાયા હતા. મોરબીની આ પરિષદ મળી એના એક વર્ષ અગાઉ બારડોલી સત્યાગ્રહનું યોગ્ય નેતૃત્વ કરી સફળતા મેળવી તેઓ સાચા અર્થમાં ‘સરદાર’ પુરવાર થયા હતા.

મોરબી રાજયે આ પરિષદ ભરવા અંગે સંમતિ આપી હતી પરંતુ તેની સાથે જ ત્યાં કાઠિયાવાડ યુવક પરિષદ ભરાય તે તેને નાપસંદ હતું. કારણ કે યુવક પરિષદમાં કાઠિયાવાડ રાજકીય પરિષદે દોરી આપેલી મર્યાદાઓનો ભંગ કરીને વ્યક્તિગત રાજ્યો અને રાજવીઓની ઉગ્ર ટીકા થવાની સંભાવના હતી. તેથી આ બંને પરિષદ એક જ સ્થળે મોરબીમાં ભરાય તે ગાંધીજીને પણ ઠીક લાગ્યું ન હતું. છતાં તેમણે આ અંગે કાઠિયાવાડના યુવક નેતાઓને સરદાર પટેલની સલાહ અને માર્ગદર્શન મેળવવા જણાવ્યું હતું.

તેમણે પણ ગાંધીજીની જેમ યુવકને મર્યાદાઓ સ્વીકારવા જણાવતાં યુવક નેતાઓ નારાજ થઈને મોરબી છોડીને ચાલ્યા ગયા છતાં આવા ડહોળાયેલા વાતાવરણમાં સરદાર પટેલે કુનેહથી કામ લીધું અને કેટલાક યુવક નેતાઓ હાજર રહ્યા. વિશેષતા તો એ રહી કે યુવક પરિષદમાં વરાયેલા પ્રમુખ મણિલાલ કોઠારી અને તેમના સાથીદારો આ પરિષદમાં હાજર રહ્યા હતા અને પરિષદ પ્રમુખ સરદાર પટેલની પડખે રહ્યા હતા.

ગાંધીજી અને સરદારે કાઠિયાવાડની એ વખતની પરિસ્થિતિની ઝીણવટભરી છણાવટ કરી રાજા અને પ્રજા બન્ને ને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું.

પ્રમુખપદેથી બોલતાં સરદાર પટેલે યુવકોની વાચાળતા અને માત્ર શબ્દોમાં જ બહાદુરી બતાવવાની અધીરતાની આલોચના કરી હતી. તો રાજાઓની ઝાટકણી કાઢતાં તેમનો નિરંકુશ સત્તા પ્રત્યેનો મોહ ઓછો કરવા અને બ્રિટિશ સામ્રાજ્યની સોડમાં ભરાવા કરતાં પ્રજાનો પ્રેમ સંપાદન કરવા સલાહ આપી હતી.

- text

ઉપરાંત તેમણે એમ કહેલું કે ‘કાઠિયાવાડ એટલે તેનાં અનેક ગામડાંઓમાં વસતી પ્રજા તેનો માણાગ્નિ ઓલવાઈ ગયો છે તેથી તેના બુઝાયેલા હૈયામાં ચિનગારી પ્રગટાવવાની જરૂર છે. આજની પરિસ્થિતિમાં પરિષદનું મુખ્ય કામ પ્રજામાં પ્રાણ રેડવાનું જ હોવું જોઈએ એ ત્યારે જ બની શકે તપ્રોત થઈ જાય.

ઉપસંહાર ભાષણમાં તેમણે કહ્યું કે ‘૧૯૨૧ થી ૧૯૨૯નાં નવ વર્ષમાં આપણે માત્ર પાંચ પરિષદો ભરી એટલે કે દર વર્ષે આપણે પરિષદ ભરી શક્યા નથી. તે પરિષદની મર્યાદા દર્શાવે છે. વળી રાજાઓ પાસે કામ કરાવવું હોય તો પરિષદનો રાજા પ્રત્યે પ્રેમ જોઈએ અથવા પરિષદમાં રાજાને પદભ્રષ્ટ કરવાની શક્તિ જોઈએ, પરંતુ જો એ બેમાંથી એક પણ શક્તિ આપણામાં ન હોય તો આપણી દશા વર્ણશંકરની થાય માટે કાઠિયાવાડની પ્રજાએ ખુશામત છોડી દઈ શક્તિ એકઠી કરવા જણાવી બહુ બોલવાથી લાભ નથી પણ હાનિ છે તેમ ઉમેર્યું હતું.

આ ઉપરાંત ખાલી નિંદાથી કોઈ રાજા હાર્યો એવો દાખલો નથી. આમ તેમણે પોતાની લાક્ષણિક શૈલીમાં પ્રજાની મર્યાદાનો ખ્યાલ આપી વાસ્તવવાદી બનવા સલાહ આપી હતી.

મોરબી પરિષદ ૧૯૨૯માં ભરાયા પછી છેક આઠ વર્ષે ૧૯૩૭માં રાજકોટમાં તેનું છઠ્ઠું અધિવેશન દરબાર ગોપાળદાસ દેસાઈના પ્રમુખપદે મળ્યું હતું. તેમાં પણ સરદાર પટેલ હાજર રહ્યા હતા. આમ ૧૯૨૯ થી ૧૯૩૭ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખપદે હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text