સમયસર પોલીસ પહોંચી જતાં યુવાનનો જીવ બચ્યો : ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયો હળવદ : હળવદના કોયબા રોડ પર જવાના રસ્તે પસાર થતી નર્મદા કેનાલ પાસે હળવદ જીઆઇડીસીના ચાર જેટલા શખ્સોએ ભવાની નગરમાં રહેતા યુવાનને નજીવી બાબતે માથાના ભાગે છરીનો ઘા મારી કેનાલમાં નાખી દીધો હતો. જો કે, યુવાનને તરતા આવડતું હોય જેથી તે કેનાલમાંથી બહાર નીકળતા આરોપીઓ મારતા મારતા હળવદ જીઆઇડીસી સુધી લઈ આવ્યા હતા ત્યાં સુધીમાં પોલીસ આવી જતાં આરોપીઓ પોલીસને જોઇ નાસી છૂટયા હતા. હાલ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા જીઆઇડીસીમાં પોલીસ પહેરો પણ ગોઠવી દેવાયો છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ ભવાનીનગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ લીલાભાઇ કોળી અને જીઆઇડીસી વિસ્તારમાં રહેતા ચાર જેટલા શખ્સો કોયબા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલ પાસે કોઈ નજીવી બાબતે બોલાચાલી કરી રહ્યા હતા. તેવામાં જીઆઈડીસીના ઉશ્કેરાયેલા શખ્સો એ ભવાનીનગરના યુવાનને માથાના ભાગે છરીનો ઘા ઝીંકી નર્મદા કેનાલમાં નાખી દીધો હતો. જોકે, યુવાનને તરતા આવડતું હોવાથી યુવાન કેનાલ બહાર નીકળી જતા આરોપીઓ મારતા મારતા છેક હળવદ જીઆઇડીસી સુધી લઈ આવ્યા હતા. ત્યાં સુધીમાં બનાવની જાણ પોલીસને કરી દેવાતા પોલીસ તાત્કાલિક જીઆઇડીસી ખાતે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયા બાદ હુમલો કરનારા શખ્સોને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા જીઆઇડીસીમાં પોલીસ પહેરો પણ ગોઠવી દીધો હોવાનું જાણવા મળ્યું છે.