સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો નગર જનસુખાકારી કામો અંગે મહત્વપૂર્ણ નિર્ણય મોરબી : રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટકના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહિશોને ભોગવવાના થતા ર૦ ટકા ફાળાની રકમ હવે, ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્ય તેમની ગ્રાન્ટમાંથી તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટક હેઠળની પ્રવર્તમાન જોગવાઇ અનુસાર ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડની વસાહતો અને ફલેટના રહેવાસીઓને આંતરિક રસ્તા ઉપર ડામર કે પથ્થરનું પેવિંગ, રિસરફેસીંગ, સિમેન્ટ કોન્ક્રીટના રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણીની પાઇપલાઇન, વોટર હાર્વેસ્ટીંગ, કોમન પ્લોટના પેવરીંગ તથા ભૂગર્ભ ગટરના કામો હાથ ધરવા માટે ૭૦ ટકા ફાળો સરકારની ગ્રાન્ટનો, ર૦ ટકા ખાનગી સોસાયટી દ્વારા અને ૧૦ ટકા સ્થાનિક સંસ્થા દ્વારા ભોગવવાનો રહે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નગર સુખાકારીના કામોના વ્યાપક હિતમાં અને વધુ લોકો આવા કામોનો લાભ થઇ શકે તે માટે હવે એવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, જનભાગીદારી ઘટક અન્વયેના કામો માટે ખાનગી સોસાયટીઓએ ભરવાના થતા ર૦ ટકા લોક ફાળાની રકમમાં ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્યની ગ્રાન્ટમાંથી અગાઉના ૧૦ને બદલે હવે ર૦ ટકા રકમ તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભના જરૂરી આદેશો સત્વરે બહાર પાડવા માટે પણ આયોજન પ્રભાગ અને શહેરી વિકાસ વિભાગને સૂચનાઓ આપી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..