મોરબી : મોરબીની તાલુકા શાળા નંબર 1ના શિક્ષિકા વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. મોરબી તાલુકા શાળા નં. 1ના શિક્ષિકા ગોહિલ કૈલાસબા ભરતસિંહ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો શાળા પરિવાર તરફથી વિદાય સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ સોલંકી, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી અને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સી. સી. કાવર, મોરબી કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલિયા, ટંકારા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચર, માળિયા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હૂંમલ, તાલુકા શાળા નંબર 1ના સી.આર.સી. કો. ઓર્ડીનેટર તથા મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજાની હાજરીમાં કૈલાસબાનું શેષજીવન આરોગ્યમય અને દીર્ઘાયુ રહે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ગોહિલ કૈલાશબા તરફથી શાળા પરિવારને યાદગીરી સ્વરૂપે માં સરસ્વતીની મૂર્તિ ભેટ આપવામાં આવેલ હતી. શાળાના સ્ટાફ પરિવાર તરફથી શ્રીફળ, પડો, સાલ અને ભેટ આપીને વિદાય સન્માન આપવામાં આવેલ હતું. શાળાના તમામ સ્ટાફ પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી.