ગ્રામ્ય પંથકના 31 રૂટ બંધ રહેતા પ્રજાજનો ખાનગી વાહનોમાં લટકવા મજબુર હળવદ : કોરોના વિદાય થયો હોવા છતાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ગ્રામ્ય પ્રજા માટે હજુ એસટીના નિયમિત રૂટ શરૂ કરવામાં આવ્યા ન હોવાથી ગામડાના લોકો ખાનગી વાહનમાં લટકી મુસાફરી કરવા મજબુર બન્યા છે. હળવદ સહિત મોરબી જિલ્લો હવે કોરોના મુક્ત બની ગયો હોય એમ છેલ્લા કેટલાક દિવસથી એકેય કેસ નોંધાતા નથી. જનજીવન પણ સામાન્ય બન્યું છે. પરંતુ સલામતી સવારી એસટી અમારીની ગુલબંગો ફૂંકતા એસટી તંત્રની સ્થિતિ હજુ સુધી સામાન્ય બની નથી. હળવદ પંથકમાં હજુ એસટીની પરિસ્થિતિ ગંભીર છે. ગ્રામ્ય વિસ્તારોના 31 જેટલા એસટી રૂટ હજુ બંધ હોવાથી ગ્રામ્ય વિસ્તારની જનતાને ખાનગી વાહનોમાં ટીંગાવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. ખાનગી વાહનો પણ તકનો લાભ લઇ બેફામ ભાડા વસુલતા હોવાની પણ લોકોમાં બુમરાણ ઉઠી છે.