રાસાયણીક ખાતરનો રૂ. 4.30 લાખનો જથ્થો અટકાવી વેપારીઓને નોટિસ અપાઈ શંકાસ્પદ 24 નમૂનાઓ લોબોરેટરીમાં મોકલાવાયા મોરબી : મોરબી જિલ્લામાં બિયારણ જંતુનાશક દવા અને રાસાયણીક ખાતર વિક્રેતાઓને ત્યાં ખેતીવાડી વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં શંકાસ્પદ 24 નમૂનાઓ લોબોરેટરીમાં મોકલાવાયા છે. તેમજ રૂ. 4.30 લાખની કિમતનો જથ્થો અટકાવી નોટિસ પાઠવી છે. હાલ ચોમાસાની શરૂઆત હોય વાવણીની સિઝન શરુ થઇ રહી છે ત્યારે ખેડૂતોને યોગ્ય અને નિયત કિંમતે બિયારણ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર મળી રહે તે હેતુથી સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) રાજકોટના માર્ગદર્શન હેઠળ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અને ખેતી અધિકારી મોરબીની ટીમ દ્વારા મોરબી જિલ્લામાં તા.૦૯/૦૬/૨૦૨૧ થી તા.૧૫/૦૬/૨૦૨૧ સુધી આકસ્મિક સ્કોર્ડની કામગીરી કરવામાં આવી હતી. આકસ્મિક ચેકીંગ દરમિયાન મોરબી જિલ્લાના ૫૫ વિક્રેતાઓની મુલાકાત લઈ બિયારણના ૧૭, જંતુનાશક દવાના ૫ તથા રાસાયણિક ખાતરના ૨ શંકાસ્પદ નમૂનાઓ લઇ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપવામાં આવેલ છે. નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં ચેકિંગ દરમિયાન બિયારણનો ૦.૫૦ લાખનો, રાસાયણિક ખાતરનો ૧.૨૯ તેમજ જંતુનાશક દવાનો ૨.૫૧ લાખનો શંકાસ્પદ જથ્થો અટકાવીને કારણદર્શક નોટીશ આપવામાં આવેલ છે. તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) એસ.એ.સીણોજીયાએ જણાવેલ છે.