જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા હળવદ અને માળીયા પંથકમાં બે ટિમો ઉતારાઈ મોરબી : તૌકતે વાવાઝોડા અને વરસાદના કારણે મોરબી જિલ્લામાં મીઠું પકવતા અગરિયાઓને વ્યાપક નુકશાન પહોંચ્યું છે ત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા બે ટીમોને ઉતારી માળીયા અને હળવદ પંથકમાં સર્વે શરૂ કરાયો છે. માળીયા-હળવદ તાલુકાના રણ વિસ્તારોમાં સર્વેની કામગીરી કરવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર ભાટિયાએ બે ટીમો કામે લગાડી છે. જે પૈકી એક ટીમ સર્વે કરવા માટે માળીયાના રણ વિસ્તારમાં અને બીજી ટીમ હળવદ તાલુકાના રણ વિસ્તારોમાં સર્વે કામગીરી કરી રહી છે. મોરબી જિલ્લાના માળીયા-હળવદ વિસ્તારોના સર્વે માટે ડીઆઇસીના ગોવિંદભાઈ ગોહિલ અને વિરેન્દ્રભાઈ પટેલ અગરિયા હિત રક્ષક મંચના મારુતસિંહ બારૈયા, મોરબી જિલ્લા કોર્ડીનેટર તેમજ રાજકોટ સોલાર એજન્સીના મહેન્દ્રસિંહ અને આગેવાનો સાથે રહે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.