સાવરકુંડલા પંથકમાં કાચા મકાનો માટે 40 હજાર જેટલા નળીયા અપાયા મોરબી : મોરબીમાં સેવાકાર્યોમાં હમેશા અગ્રેસર રહેતા અજયભાઇ લોરીયા વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની વ્હારે આવ્યા છે. તેઓએ અસરગ્રસ્ત વિસ્તારોના જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ કરી તેઓના ઘરનો ચૂલો સળગતો રહે તેવો પ્રયાસ કર્યો છે. મોરબીમાં કોરોનાના કપરાકાળના લોકસેવાની ધૂણી ધખાવી સતત દોડધામ કરતા એવા અજયભાઇ લોરીયા તાઉતે વાવાઝોડા બાદ સેવા કાજે ભાવનગર, અમરેલી ગિરસોમનાથમાં નીકળી પડ્યા હતા. ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કરી તેઓએ સેવાયજ્ઞ પણ શરૂ કર્યો હતો. જેમાં અનેકવિધ જરૂરી ચીજ વસ્તુઓની બનેલી 1500 જેટલી રાશનકીટનું જરૂરિયાતમંદોને વિતરણ કર્યું હતું. વધુમાં વાવાઝોડા દરમિયાન ફૂંકાયેલા ભારે પવનને કારણે સાવરકુંડલા પંથકમાં અનેક કાચા મકાનોના નળિયા ઉડી ગયા હતા. ત્યારે આવા મકાનો માટે તેઓએ 40 હજાર જેટલા નળિયાની પણ સહાય કરી છે.