મૃતકના શરીરે ઇજાના નિશાન જોવા મળ્યા, પી.એમ. કર્યા બાદ જ બનાવનું કારણ સ્પષ્ટ થશે મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મચ્છુ નદી પાસેથી આજે યુવાનની લાશ મળી આવી છે. જો કે, મૃતકના શરીરે ઇજાના નિશાન જોવા મળતા આ બનાવ હત્યાનો હોવાની આશંકા ઉભી થઇ છે. હાલ મૃતકની ડેડબોડીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે અને પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ બનાવનું સાચું કારણ બહાર આવશે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર આવેલ ગુલાબનગરમાં રહેતા હિતેશભાઈ નરસીભાઈ અખિયાણી (ઉ.વ. 30) નામના યુવાનની આજે વીસીપરા વિસ્તારમાં આવેલ મચ્છુ નદી પાસેથી લાશ મળી આવી હતી. બાદમાં તેના મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. જો કે, મૃતકના પગમાં અને ગાલના ભાગે ઇજાના નિશાનો જોવા મળતા હત્યાની શંકા ઉગભવી છે. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલમાં દોડી ગયો હતો અને સઘન તપાસ હાથ ધરી છે. વધુમાં, જાણવા મળતી વિગતો મુજબ મૃતક તેમજ અન્ય ત્રણ લોકો ગઈકાલે સાંજે મચ્છુ નદીમાં માછીમારી કરવા ગયા હતા. જ્યાં કોઈ કારણોસર બોલાચાલી પણ થઈ હોવાનું જાણવા મળે છે. ત્યારે ખરેખર આ બનાવ હત્યાનો છે કે કેમ તે જાણવા માટે પોલીસે સંદિગ્ધ લોકોની પૂછપરછ હાથ ધરી છે અને મૃતકનો પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ બનાવનું સાચું કારણ બહાર આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.