માર્કટીંગ યાર્ડમાં મજૂરો ન હોવાથી અન્ય જણસીની આવક અટકી : રાજસ્થાની મજૂરો વતનમાં મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજથી ફરીથી ધમધમતું થયું છે, જો કે હજુ મજૂરો યાર્ડમાં આવ્યા ન હોવાથી અન્ય જણસી ઉતારવામાં મુશ્કેલી હોય આજે પ્રથમ દિવસે યાર્ડમાં 600 મણ ઘઉંની આવક નોંધાઈ હતી. કોરોના સંક્રમણને કારણે છેલ્લા એક માસ જેટલા સમયથી બંધ મોરબી માર્કેટિંગ યાર્ડ સરકારની ગાઇડલાઇન મુજબ આજથી ફરીથી ધમધમતું થયું છે પરંતુ અહીં કામ કરતા મોટાભાગના રાજસ્થાની મજૂરો વતનમાં ચાલ્યા ગયા હોય માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસ ઉતારવામાં મુશ્કેલી પડતી હોવાથી ફક્ત આજે ઘઉંની ઉતરાઈ કરવામાં આવી હતી. મોરબી માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 100 જેટલા રાજસ્થાની મજૂરો કામ કરે છે અને હાલ માત્ર 10 જેટલા મજુર જ યાર્ડમાં આવી રહ્યા છે જયારે બાકીના મજૂરો હાલમાં વતન રાજસ્થાનમાં હોવાથી ખેડૂતોનો માલ ઉતારવામાં તેમજ વેપારીઓને માલ ભરાઈ કરવામાં મુશ્કેલી પડી રહી છે આજે યાર્ડમાં પ્રથમ દિવસે ઘઉંની 600 મણની આવક નોંધાઈ હતી અને ઘઉંના ભાવ નીચામાં રૂ.305 પ્રતિમણથી લઈ ઉંચામાં રૂ.377 સુધી બોલાયા હતા.