ભાવનગર - અમરેલી - ગીર સોમનાથ જિલ્લામાં થયેલ નુકસાન અંગે જાત માહિતી મેળવી મોરબી : અરબી સમુદ્રમાં ઉદભવેલ વાવાઝોડા તાઉતે સમગ્ર સૌરાષ્ટ્રને બે દિવસ સુધી ધમરોળતા અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વ્યાપક તારાજી સર્જતાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્રના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આજે બુધવારે નવી દિલ્હીથી હવાઇ માર્ગે ભાવનગર આવ્યા હતા આ તકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ ખાતે ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે પણ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન મોદી એરપોર્ટથી હેલીકોપ્ટરમાં વાવાઝોડાગ્રસ્ત ભાવનગર - અમરેલી - ગીર સોમનાથ જિલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. સૌરાષ્ટ્રની મુલાકાત બાદ વડાપ્રધાન અમદાવાદ જશે અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આંકલન કરનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.