ભારત સરકારે કોવિશીલ્ડ વેકસીનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૧ર થી ૧૬ અઠવાડિયાનો રાખવા જાહેર કરેલી માર્ગદર્શિકાને પગલે ગુજરાતમાં પણ વેકસીનેશન રિશેડયુલ કરાશે : આરોગ્ય અગ્ર સચિવ ૧૮થી ૪પ વર્ષની વયજૂથમાં જેમને એપોઇન્ટમેન્ટ શેડયુલ અપાઇ ગયા છે અને એસ.એમ.એસ મળ્યા છે માત્ર તેમના માટે વેકસીનેશન આ ત્રણ દિવસો દરમ્યાન ચાલુ રહેશે મોરબી : ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૧૨ થી ૧૬ અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા આજે જાહેર કરી છે. સાથે જ 45 વર્ષથી ઉપરના નાગરિકોને શુક્રવારથી ત્રણ દિવસ વેકસીન નહિ મુકવામાં આવે. આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, આ માર્ગદર્શિકાને પગલે ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવાની થાય છે. આરોગ્ય અગ્ર સચિવએ જણાવ્યું છે કે આના પરિણામે સમગ્ર રાજ્યમાં ૪૫ થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી આવતીકાલ શુક્રવાર તા.૧૪ મે થી ત્રણ દિવસ માટે મોકૂફ રાખવામાં આવશે. ડૉ. જયંતિ રવીએ એમ પણ જણાવ્યું છે કે, ૪૫ વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણ કામગીરી સોમવાર તારીખ ૧૭ મે-૨૦૨૧થી ભારત સરકારના દિશાનિર્દેશો અનુસાર શરૂ કરવામાં આવશે. રાજ્યમાં ૧૮ થી ૪૫ વયજૂથના લોકોમાં જેમને એપોઈમેન્ટ શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો એસ.એમ.એસ. જેમને મળ્યો છે. માત્ર તેવા લોકો માટે જ રસીકરણની કામગીરી આ ત્રણ દિવસો દરમિયાન કરવામાં આવશે.