મોરબી : ગઈકાલે તા. 13 એપ્રિલના રોજ મોરબીમાં સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુક્લ દ્વારા સંકલિત ભારત એકાત્મતા ગાથા (એકાત્મતા સ્તોત્ર પર આધારિત) પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિપુલભાઈ અઘારા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ બુકના ઉપયોગ અને મહત્વ અંગે વક્તવ્ય આપ્યું હતું. જયંતીભાઈ ભાડેશીયા, વિજયભાઈ રાવલ તેમજ ઘનશ્યામભાઈ ડાંગરે પરોક્ષ હાજરી આપી વિડીયો દ્વારા બુકનું વિમોચન કર્યું હતું. માત્ર દસ વ્યક્તિની હાજરીમાં ઓનલાઇન પ્લેટફોર્મ પર વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકના સંકલનકર્તા કિશોરભાઈએ પુસ્તિકા પ્રકાશનનો હેતુ જણાવતા કહ્યું હતું કે વિશાળ સમુદાય તેમજ વિદ્યાર્થીઓ એકાત્મતા સ્તોત્રનો પરીચય મેળવે, ભારતનો ઇતિહાસ જાણે, સ્તોત્રમાં સમાવિષ્ટ પાત્રોને ઓળખે, ભારતમાતાની ઉત્તમ સેવા કરનાર મહાન પુરુષો પ્રત્યે આદર ભાવ ઉદ્દભવે તેમજ તેમનામાંથી પ્રેરણા મેળવે. આ પુસ્તકની રચનામાં સહભાગી થનાર તેમજ વિમોચન સમયે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉપસ્થિત રહેનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.