કોવિડ-19 ના ભરડાને નિયંત્રિત કરવા આગેવાનો સાથે ચર્ચા હળવદ: કોરોના વાયરસને એક વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે ત્યારે છેલ્લા પંદરેક માસથી વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. દેશભરમાં રસીકરણ ઝુંબેશ પણ જોરસોરમાં ચાલુ છે. પરંતુ વાયરસએ ફરી માથું ઉચકતાં સરકારની ચિંતા ફરી વધારી દીધી છે તો લોકોના જીવ પર પણ જોખમ ઊભું થયું છે. તંત્ર પણ નિષ્ફળ સાબિત થઇ રહ્યું હોય એમ ઠેરઠર હોસ્પિટલોમાં દર્દીઓ લાચાર થઇ બેઠા છે. ઓક્સિજન, ઇન્જેક્શનને લઈ પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે આ કોરોનાનુ સંક્રમણ અટકે તે માટે થઈ આજે હળવદમાં ધારાસભ્ય દ્વારા દરેક સમાજના આગેવાનો સાથે એક બેઠક યોજી હતી. અને લોકો જાગૃત બને તે માટે અપીલ કરાઇ હતી. હળવદ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારના દરેક સમાજના આગેવાનો સાથે એક બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં ધારાસભ્ય સાબરીયા દ્વારા હાજર રહેલા દરેક સમાજના આગેવાનોને અપીલ કરી હતી કે હાલ કોરોના નું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે તે ચિંતાજનક છે કોરોનાનું સંક્રમણ અટકે તે માટે થઈ દરેક સમાજના આગેવાનો પોતાના સમાજમાં યોજાતા સારા અને માઠા પ્રસંગે જે લોકો એકઠા થઈ રહ્યા છે તે હાલ પૂરતું બંધ રાખવામાં આવે સાથે શક્ય હોય તો ધાર્મિક અને લગ્ન પ્રસંગ થોડા દિવસ માટે અટકાવવામાં આવે તેમજ જો કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય તો લૌકિક અને બેસણામાં સરકાર ની ગાઈડલાઈન મુજબ જ લોકો બોલાવવામાં આવે શક્ય હોય તો ટેલિફોનિક બેસણું કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. સાથે જ હાજર રહેલ દરેક સમાજના આગેવાનોએ પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ અપીને વધાવી હતી અને તેઓ પણ તેઓના સમાજમાં કોરોના વાયરસને લઈ લેવા પડે તે તમામ નિર્ણય લેવા તૈયારી બતાવી હતી.