કોવિડ કેર સેન્ટરમાં કોરોના પોઝિટિવના માઈલ્ડ અસર વાળા દર્દીઓને દાખલ કરાશે મોરબી : મોરબીમાં કોરોનાનું સંક્રમણ એ હદે વધ્યું છે કે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે આવા સંજોગોમાં યંગ ઇન્ડિયા ગ્રુપે સેવા યજ્ઞ શરૂ કર્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી તમામ સમાજના લોકો માટે રફાળેશ્વર પાસે આદર્શ નિવાસી શાળા ખાતે 100 બેડના કોવિડ કેર સેન્ટરનો શુભારંભ કર્યો છે. મોરબીમાં કોરોના મહામારીની સ્થિતિમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી તાકીદે 100 બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર રફાળેશ્વર નજીક ડેમ તરફ જતા રસ્તા પર રોડની સાઈડમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં શરૂ કરવામાં આવ્યું છે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 100 જેટલા બેડની વ્યવસ્થા સાથે ડોકટર અને નર્સિંગ સ્ટાફ અને જરૂરી દવા તેમજ સેન્ટરમાં દાખલ થનાર દર્દીઓ માટે નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કોવિડ કેર સેન્ટરમાં કોરોના પોઝિટિવના માઈલ્ડ અસર વાળા દર્દીઓને દાખલ કરવામાં આવશે. દાખલ થનાર દર્દીઓએ તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ, સીટી સ્કેનનો રિપોર્ટ, આધાર કાર્ડની ઝેરોક્ષ, ડોક્ટરને બતાવ્યું હોય તો તેના કાગળો, જરૂરી લેબોરેટરીના રિપોર્ટ અને દવા, ટુવાલ, કપડાં, બ્રશ, કોલગેટ, જરૂરી સામાન અને અન્ય જરૂરી ચાલતી દવા અને મેડીકલની ફાઇલ સાથે લઈને આવાનું રહેશે. કોવિડ સેન્ટર પર ફરજ પર રહેલા ડોકટર અને મેડિકલ સ્ટાફ દર્દીની ચકાસણી કરી તેમને દાખલ કરવા કે નહીં તેનો નિર્ણય લેશે.વધુ વિગત અને સેન્ટર પર આવતા પેહલા નીચેના નંબર પર સંપર્ક કરવો. મો.નં. 99746 26108, 99746 36108