એક માત્ર સરકારી હોસ્પિટલમાં બપોર સુધીજ કોરોનાનો રિપોર્ટ કરવામાં આવે છે હળવદ : હળવદમાં આવેલી એકમાત્ર સરકારી હોસ્પિટલમાં કાગળ ઉપર બધું ઠીકઠાક ચાલે છે. પરંતુ કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે બપોર બાદ કોરોનાના રિપોર્ટ કરવામાં આવતા ન હોય લોકોને ધરમધક્કાં થતા હોય આ લાલીયાવાડી બંધ કરાવવા જ્યંતીભાઈ અને પરસોતમભાઇ મેદાને આવે તેવું હળવદના લોકો ઈચ્છી રહ્યા છે. હળવદની સરકારી હોસ્પિટલમાં કોરોનાનો રિપોર્ટ કરાવવા માટે વહેલી સવારથી જ લાઈનો લાગી જાય છે. જોકે, અહીંના તંત્ર દ્વારા સવારે 9થી બપોરના 12 વાગ્યા સુધી જ કોરોનાનો રિપોર્ટ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બીજી એક વાત પણ સામે આવી છે કે 12 વાગ્યા થી 5 વાગ્યા સુધી વેક્સીન આપવાનું પણ કામ ચાલતું હોય, જેને કારણે બપોરના 12 વાગ્યા સુધી જ રિપોર્ટ કરવામાં આવે છે. વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે હળવદ સરકારી હોસ્પિટલમાં કોઈને કોઈ કહેવાવાળુ નથી. જેથી જેને મન ફાવે તેમ વર્તન પણ કરતા હોય છે ત્યારે સવાલ એ ઉઠે છે કે આવી પરિસ્થિતિ વચ્ચે પણ હળવદ સરકારી હોસ્પિટલની લાલિયાવાડી યથાવત છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગની સાથે ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને પૂર્વ મંત્રી જ્યંતિભાઈ કવાડીયા જન આરોગ્ય પ્રશ્ને હળવદની હોસ્પિટલના તંત્રને ઢંઢોળે તે અત્યંત જરૂરી છે.