મોરબી: રજવાડાના સમયમાં સૌરાષ્ટ્રના ઘણા બધા પ્રજાવત્સલ રાજવીઓ પ્રાંત:સ્મરણીય હતા. સવારે પ્રાતઃકાળે ઉઠીને રાજવીના મુખદર્શનને શુભ મનાતું સામાજિક પ્રસંગોપાત પ્રજાજનો રાજવીઓના આશીર્વાદ મેળવતા પરંતુ સમયના બદલાતા વહેણ સાથે અને રજવાડાંઓના અસ્ત સાથે આ પ્રથા લુપ્ત થતી ગઈ. જો કે એક ક્ષત્રિય પરિવારે પોતાના પુત્રના લગ્ન પ્રસંગે મોરબીમાં સ્થપાયેલા ત્રણ રાજવીઓના બાવલાને શણગારી તેમના આશીર્વાદ લીધા હતા. મૂળ ધુનડા (સજ્જનપર)ના અને હાલ મોરબી નિવાસી ગિરિરાજસિંહ દિલીપસિંહ જાડેજાના પુત્ર ઉદાયરાજસિંહના લગ્ન મૂળ લુણસર અને હાલ વાંકાનેર રહેતા રામદેવસિંહજી ગંભીરસિંહજી ઝાલાની પુત્રી શ્રદ્ધાબા સાથે 4 એપ્રિલને રવિવારના રોજ નિર્ધાર્યા છે. આ શુભ પ્રસંગે મોરબીમાં સ્થપાયેલા સર વાઘજી ઠાકોર, લખધીરજી ઠાકોર અને મહારાણા પ્રતાપના બાવલાઓને શણગારી, લાઈટ ડેકોરેશન કરી તેઓના આશીર્વાદ લીધા હતા ત્યારે રાજવી પરંપરાની યાદો તાજી થઈ હતી.