હાઇવે ઉપર ડીવાઈડર તોડી નાખતા હોટલ - પેટ્રોલપંપની લાજ કાઢતું તંત્ર ગરીબો ઉપર આક્રમક વાંકાનેર : વાંકાનેર ચંદ્રપુર નજીક આજે અચાનક સુરાતન ચડતા હાઇવે ઓથોરિટી દ્વારા દબાણ હટાવવામાં આવ્યા હતા, જો કે નેશનલ હાઇવે ઉપર અકસ્માત નોતરવામાં સિંહ ફાળો આપતા હોટેલ અને પેટ્રોલપંપ માલિકોની ડિવાઈડર તોડવાની નીતિ સામે આવી કડક કામગીરી ન કરાતી હોય આજની દબાણ હટાવ ઝુંબેશ ટિકાપાત્ર બની હતી. આજરોજ વાંકાનેર ચંદ્રપુર રેલવે નાલા નજીક ઉભા રહેતા ગરીબ ધંધાર્થીઓના દબાણો નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હટાવી કામગીરી કર્યાનો સંતોષ માનવામાં આવ્યો હતો. ખાસ કરીને મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર અનેક જગ્યાએ હોટેલ સંચાલકો અને પેટ્રોલપંપ સંચાલકો દ્વારા અનઅધિકૃત રીતે ડિવાઈડર તોડી નાખવામાં આવ્યા હોય વારંવાર અકસ્માતો સર્જાય છે ત્યારે હાઇવે ઓથોરિટી દબાણ હટાવવાની જેમ જ ડિવાઈડર તોડનાર વિરુદ્ધ પણ આકરી કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે.