જરૂર પડે તો લોકડાઉન કરો ! ગામના સરપંચે આરોગ્ય અધિકારીને રજુઆત કરી તેમના ગામમાં જરૂરી સાવચેતીના પગલાં લેવાની માંગ કરી મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્રના સબ સલામતના દાવા વચ્ચે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાએ અજગરી ભરડો લીધો હોય તેમ કોરોનાના અસંખ્ય કેસ સામે આવી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલત અતિ ખરાબ છે. જેમાં મોરબીના મકનસર ગામે છેલ્લા કેટલાક દિવસોમાં અધધ 200 જેટલા કેસ નોંધાયા હોવાનું સરપંચે જણાવ્યું છે. આથી કોરોનાની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા તેમણે સઘન સર્વેની માંગ કરી છે. મોરબીના મકનસર ગામના સરપંચ માવજીભાઈ ભીમજીભાઈએ જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે, મોરબીના મકનસર ગામે છેલ્લા કેટલાક સમયથી કોરોનાની સ્થિતિ બેકાબુ બની છે અને મકનસર ગામમાં હાલ કોરોનાના 200 જેટલા કેસ છે. જેથી ગામના નિર્દોષ લોકો પણ આ ચેપી રોગનો ભોગ બને તેવી ભીતિ છે. કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને જિલ્લા આરોગ્ય વિભાગ તાત્કાલિક મકનસર ગામમાં આરોગ્ય ટિમ સાથે સઘન સર્વે કરી જરૂરી તકેદારીના પગલાં લે તેવી તેમણે માંગ કરી છે. સાથેસાથે તેઓએ ગ્રામ પંચાયત સાથે મળીને કોરોના સામે ગામલોકોને રક્ષણ આપવા જરૂર જણાય તો ગામમાં લોકડાઉન કરવાની પણ તૈયારી દર્શાવી છે. તેમજ ગામમાં તમામ નિયમોનો અમલ કરવા પણ જણાવ્યું છે.