મોરબી : મોરબીના મિત્રતાના દાવે આપેલ રૂ. 7.57 લાખની રકમનો ચેક પરત ફર્યા બાદ કોર્ટમાં ફરિયાદ થતા આ મામલે કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં આરોપી મિત્રને કોર્ટે લેણી રકમ અને તેના ઉપર 9 ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો છે. અને જો રકમ વ્યાજ સાથે ચુકવવામાં નિષ્ફળ જાય તો આરોપીને સવા વર્ષની જેલની સજા ફરમાવી છે. મળતી માહિતી પ્રમાણે ફરિયાદી કરશનભાઈ માવજીભાઈ ભોરણીયાએ તેમના મિત્ર આરોપી કિરીટભાઈ જનાર્દનભાઈ ઠાકરને મિત્રતાના દાવે હાથ ઉછીની રકમ રૂ. 7.57 લાખ આપેલ હતા. આ રકમ પરત ચૂકવવા અંગે આ કામના આરોપીએ ફરિયાદીને સિન્ડિકેટ બેંક, મોરબી શાખાનો ચેક તા.18/07/2013ના રોજ આપેલ હતો. જે ચેક બેંકમાં જમા કરતા આ ચેક અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફરેલ હતો. ત્યારબાદ આ કામના ફરિયાદીએ તા. 18/09/2013નાં રોજ મોરબીના બીજા એડિશનલ ચીફ જ્યૂડી મેજિસ્ટ્રેટ પી.બી.નાયક સાહેબની કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ હતી. નામદાર અદાલતે આ કામના આરોપીને ફરિયાદીને રૂ. 7.57 લાખ ચૂકવી આપવા તેમજ આ રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો આરોપીને એક વર્ષની કેદની સજા તેમજ ચેક મુજબની લેણી રકમ ઉપર 9 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. જો આરોપી સદર વ્યાજની રકમ ત્રણ માસની અંદર ન ચૂકવે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ કર્યો છે. ફરિયાદીના પક્ષે ધારાશાસ્ત્રી એ.સી. પ્રજાપતિ નિમણુંક થયેલ હતા.