જેતલસરમાં યુવતીની હત્યાના પડઘા હળવદમાં પડ્યા: લોકરોષ ચરમસીમાએ

- text


દરેક સમાજના આગેવાનોએ હળવદ મામલતદાર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત દ્વારા આરોપીને ફાંસી આપવા કરી માંગ

હળવદ : રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામની તરુણીએ લગ્ન કરવાની ના પાડતા ધરાર પ્રેમીએ 39 જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા છે. નિર્દોષ તરુણીના હત્યારાને ફાંસીના માંચડે લટકાવી દેવાની માંગ સાથે રાજ્યભરમાં કેન્ડલ માર્ચ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે દરેક સમાજના આગેવાનોએ લેખિતમાં રજૂઆત કરી આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી કરી આરોપીને ફાંસીના માચડે લટકાવી દેવા માંગ કરી હતી.

આજ રોજ હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદના દરેક સમાજના આગેવાનોએ જેતપુર તાલુકાના જેતલસર ગામે સૃષ્ટિના હત્યારા સામે રોષ વ્યક્ત કરી રજૂઆત કરી હતી. અને જણાવ્યું હતું કે આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હાથ ધરવામાં આવે અને હત્યારાને કડકમાં કડક સજા થાય. રાજ્ય સરકાર દ્વારા આ કેસમાં સ્પેશિયલ વકીલની નિમણુક કરવામાં આવે તેમજ આરોપીને જામીન પણ આપવામાં ન આવે અને ફાંસીની સજા થાય, તેવી ન્યાયપાલિકા પાસે સરકાર દ્વારા રજૂઆત થાય તેવી માંગ કરી હતી.

- text

આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ, પટેલ સમાજના અગ્રણી જશુભાઇ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, વલ્લભભાઈ પટેલ, જીગ્નેશભાઈ પટેલ, રવિભાઈ પટેલ, યાજ્ઞિકભાઈ ગોપાણી, ડોક્ટર જગદીશભાઈ રબારી, ધર્મેન્દ્રભાઈ પટેલ, જેન્તીભાઈ પારેજીયા, નયનભાઈ પટેલ, હિતેષભાઇ લોરીયા સહિતનાઓ હાજર રહ્યા હતા.

- text