અરણીટીંબાના કોંગ્રેસી સભ્ય મામલે સિટી પોલીસ સ્ટેશન સામે કોંગ્રેસ આગેવાનોની ગાંધી ચીંધ્યા રાહે લડત વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠકના કોંગ્રેસના સદસ્ય પ્રકરણમાં આજે સવારથી અમારા સભ્ય અમને પાછા આપોની માંગ સાથે વાંકાનેર કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો દ્વારા સીટી પોલીસ સ્ટેશન સામે ધરણા ઉપર ઉતરી ગયા છે. ગઈકાલે વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠકના સદસ્ય સુરેશભાઈ બલેવિયાને પીએસઆઇ નિવેદનના બહાને બોલાવી ભાજપને સોંપી દીધાનો આરોપ લગાવી કોંગ્રેસ દ્વારા આ સભ્યને મુક્ત કરવા માંગણી ઉઠાવી હતી જેમાં આજે વાંકાનેર ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા, ઈરફાન પીરઝાદા, યાર્ડ ચેરમેન શકીલ પીરજાદા, પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગુલાભાઈ પરાસરા, જિલ્લા પંચાયત સદસ્ય હરદેવસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય નવઘણભાઈ મેઘાણી તેમજ અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ આગેવાનો દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ધરણા કરવામાં આવતા મામલો ગરમાયો છે. નોંધનીય છે કે આ ચકચારી બનાવમાં અરણીટીંબાના સદસ્યના જમાઈએ એક વિડીયો વાઇરલ કરી સુરેશભાઈ બલેવિયા પોતાના પરિવાર સાથે જ હોવાનું જાહેર કર્યું છે ત્યારે કોંગ્રેસના ધરણાથી મામલો વધુ ગરમાયો છે.