ટંકારા : કચ્છ-મુન્દ્રા પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલ ગામ સમાઘોઘાના ગઢવી યુવાન અને અન્ય બે ગઢવી યુવાનોને ઢોરમાર માર્યા બાબતે ટંકારા, બંગાવડી અને વાછકપરના સમસ્ત ચારણપર ગઢવી સમાજ દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે કચ્છ-મુન્દ્રા પોલીસ કસ્ટડીમાં એક નવયુવાન ગઢવીને ક્રૂરતાપુર્વક મારી નાખવામાં આવેલ છે અને અન્ય બે ગઢવી યુવાનોને ઢોર માર મારવામાં આવેલ અને એ યુવાનોને પણ મરવા મુકી દેવામાં આવ્યા હતા. આ અમાનવીય ઘટનાની ટંકારા, બંગાવડી, વાછકપરના ચારણ ગઢવી સમાજ ઘોર નિંદા કરે છે. અને પ્રસાસન અને સરકાર પાસે માંગ કરે છે કે આ ઘટનાને ગંભિરતાથી લેવામાં આવે અને હેવાનીયત ભરેલ આ કૃત્ય કરનાર એ પોલિસ કર્મચારીઓને જે પકડવાના બાકી છે તેઓને જલ્દીથી જલ્દી પકડવામાં આવે અને આ કૃત્યમાં જે કોઇપણ લોકો સામેલ હોય તેની પણ ધરપકડ કરવામાં આવે, આ ઘટનાના મુળ સુધી પહોંચીને ગઢવી યુવાનના પરિવારજનોને ન્યાય આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. વધુમાં, ગુજરાત રાજ્ય સરકાર મૃત્યુ પામનાર યુવાનના પરિવારમાંથી કોઇએકને સરકારી નોકરી આપે. તથા ઘાયલ યુવાનોને મુખ્યમંત્રી રાહતફંડમાંથી આર્થીક સહાય આપે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ કેસમાં ગુજરાતના ખ્યાતનામ ધારાશાસ્ત્રીની નીમણુંક કરવામાં આવે. એવી સરકાર પાસે માંગ કરાઈ છે.