વાંકાનેર શહેરના 22 અને તાલુકાના 122 બુથ ઉપર 734થી વધુ કર્મચારીઓ પોલીયો રસીકરણની કામગીરી કરશે વાંકાનેર : કોરોના કાળના લાંબા અંતરાલ બાદ 'દો બુંદ જિંદગી કે'ની જેમ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાની ઝુંબેશ ફરી વેગવંતી બનાવવામાં આવી છે. જેમાં આવતીકાલે રવિવારે વાંકાનેર તાલુકાના 29063 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. વાંકનેર શહેરના 22 અને તાલુકાના 122 બુથ ઉપર 734 થી વધુ કર્મચારીઓ પોલિયો રસીકરણની કામગીરી કરશે. વાંકાનેર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલે રવિવારે 31 જાન્યુઆરીએ 0 થી 5 વર્ષના 29063 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા માટે વાંકનેર શહેરના 22 અને તાલુકાના 122 બુથ (દરેક ગામમાં) નક્કી કરવામાં આવ્યા છે. પોલિયો રસીકરણ માટે આરોગ્ય વિભાગના 734 કર્મચારીઓ અને આશા વર્કરની નિમણુંક કરવામાં આવી છે. તેમજ 10 બુથ દીઠ એક સુપરવાઈઝર સુપરવિઝન કરશે. વાડી, ઔદ્યોગિક ઝોન વિસ્તાર તથા અંતરળીયાળ વિસ્તારમાં રહેતા શ્રમિકોના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા માટે મોબાઈલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસિયાએ 0થી 5 વર્ષના બાળકોને નજીકના બુથમાં લઇ જઇને પોલિયોના ટીપા પીવડાવવા તેમના વાલીઓને અનુરોધ કર્યો છે.