મોરબી : મોરબીમાં મકરસંક્રાંતિ પર્વના દિવસે અયોધ્યા રામ મંદિરના નિર્માણ કાર્ય હેતુ નિધિ સમર્પણ મહા અભિયાન અંતર્ગત રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા રામ મહાયજ્ઞનું ઉમિયા આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ રામ મહાયજ્ઞના યજમાન તરીકે દેવેન્દ્રસિંહ સંજુભા જાડેજા તથા નંદલાલભાઈ જશાપરા ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં મોરબી જિલ્લા સંત સંયોજક નિરંજનદાસજી મહારાજ (મહંત, ઉમિયા આશ્રમ), રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાં, રાજપર ગામના હનુમાનજી મંદિરના સંત સત્યાનંદ સરસ્વતી, રોહીદાસપરા કબીર આશ્રમના મહંત કરશનદાસજી મહારાજ, રોકડીયા હનુમાનજી મંદિરના મહંત ઓમપ્રકાશજી મહારાજ અને સંત આત્માનંદજીએ આશીર્વચન પાઠવ્યા હતા. તેમજ સંતોએ દિવ્ય અને ભવ્ય રામમંદિરના નિર્માણ માટે આર્થિક સહયોગ આપવા રામભક્તોને અપીલ કરી હતી. આ રામ મહાયજ્ઞના આચાર્ય તરીકે શાસ્ત્રી રામનારાયણ દવે ઉપસ્થિત હતા. આ મહાયજ્ઞની સફળતા માટે વિશ્વ હિન્દૂ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે ઉમિયા આશ્રમ દ્વારા રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મંદિર નિર્માણમાં રૂ. 5000નું અનુદાન કરેલ છે.