મોરબી: મકરસંક્રાંતિના દિવસે ઉડતી પતંગોની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓનો નોંધાયેલો આંકડો બહાર આવ્યો છે. જો કે વણનોંધાયેલા પક્ષીઓની સંખ્યા વધુ હોય શકે છે. ગત 11 જાન્યુઆરીથી આગામી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ટ્રસ્ટ દ્વારા માંજાની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટેનું અભિયાન શરૂ થયું છે. જેમાં 11 જાન્યુઆરીથી આજે 15 જાન્યુઆરી સુધીમાં શહેરી વિસ્તારમાં કુલ 53 ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. જે પૈકી 52 કબૂતર અને એક જંગલ વેબ્લર પક્ષીનો સમાવેશ થાય છે. ગઈકાલે મકરસંક્રાંતિના એક જ દિવસ દરમ્યાન શહેરી વિસ્તારમાં કુલ 46 પક્ષીઓ માંજાની દોરીથી ઘાયલ થયા હતા. જેમાં 45 કબૂતર અને એક જંગલ વેબ્લર પક્ષીનો સમાવેશ થાય છે. ઉપરોક્ત ઘાયલ પક્ષીઓમાં વધુ ઇજા થવાથી 7 કબુતરોના મૃત્યુ થયા હતા. જ્યારે 39 કબૂતરોને સારવાર આપવામાં આવી હતી. જે પૈકી અમુક કબુતરો મુક્ત ગગનમાં વિહરવા યોગ્ય જણાતા તેઓને છોડી મુકવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે મકરસંક્રાંતિના તહેવારો પર કરુણા અભિયાન ટ્રસ્ટ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે દસેક દિવસ માટે ખાસ અભિયાન ચલાવવામાં આવે છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આ માટે મંડપો નાખીને ખાસ સારવાર કેન્દ્રો ખોલવામાં આવે છે. જ્યાં પક્ષીઓની યોગ્ય સેવા-સૃષૂતા કરી તેમનો જીવ બચાવવામાં આવે છે કે ઘાયલ પક્ષીને ઉડવા યોગ્ય બને એ પ્રકારની સારવાર આપવામાં આવે છે.