કોરોના કાળમાં આજનો દિવસ સમગ્ર રાજ્ય માટે ઐતિહાસિક દિવસ સાબિત થવા જઈ રહ્યો છે: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ કોરોના વેક્સિનનો ૨ લાખ ૭૬ હજાર ડોઝનો જથ્થો રાજ્યના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવશે: આવતીકાલે સડકમાર્ગે સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં કોલ્ડ ચેન દ્વારા કોરોના રસીનો જથ્થો પહોંચાડવામાં આવશે મોરબી: આજે મંગળવારે સવારે અમદાવાદના એરપોર્ટ પર કોરોના વેકસિનનો જથ્થો હવાઇમાર્ગે પુનાથી આવી પહોંચ્યો હતો. આ તકે એરપોર્ટ પર ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહાનારીનો આપણે મક્કમતાથી સામનો કર્યો છે. પરંતુ સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય જેની આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું તે ઐતિહાસિક દિવસ આજે આવી ગયો છે. પૂણેથી હવાઈમાર્ગે અમદાવાદ એરપોર્ટ પર આવેલા કોરોના વેક્સિનના જથ્થાને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સહર્ષ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા વેક્સિનના જથ્થાને ગુજરાતના વિવિધ સ્થળોએ પહોંચાડવા લીલીઝંડી આપીને રવાના કરવામાં આવ્યો હતો. કોવિડ શિલ્ડ વેક્સિનનો કુલ ૨,૭૬,૦૦૦ ડોઝનો જથ્થો અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રસીનો જથ્થો સ્વીકારતા સૌનું કલ્યાણ થાઓ એવા આશાવાદી શબ્દો ઉચ્ચાર્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે અમદાવાદ એરપોર્ટ પર આવેલા પ્રથમ તબક્કાના કોરોના વેક્સિનના જથ્થાની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ વેક્સિનનો જથ્થો કુલ ત્રણ ઝોનમાં વિભાજિત થનાર છે. એક બોક્સમાં ૧૨,૦૦૦ના જથ્થા સાથે વેક્સિનના કુલ ૨૩ બોક્ષ અત્રે આવી પહોંચ્યા છે. જેમાંથી આજે ગાંધીનગર ઝોનમાં બનાવેલ સ્ટેટ વેક્સિન સ્ટોરમાં ૮ બોક્સ એટલે કે ૯૬ હજાર વેક્સિન, ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની પાસે રિજિયોનલ વેક્સિન સ્ટોરમાં ૧૦ બોક્સ એટલે કે કુલ ૧ લાખ ૨૦ હજાર વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. જ્યારે ભાવનગર ઝોનમાં ૫ બોક્સ એટલે કે ૬૦ હજારનો જથ્થો પહોંચાડવામાં આવશે. ગ્રીન કોરિડોર મારફતે અભેદ સુરક્ષા સાથે સમગ્ર વેક્સિનનો જથ્થો જે તે ઝોન અને સ્થળ પર પહોંચતો કરવામાં આવનાર છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આવતીકાલે ૧૩મી જાન્યુઆરીના રોજ પુનાથી મોટરમાર્ગે કોલ્ડ ચેન દ્વારા સુરતમાં ૯૩,૫૦૦ વેક્સિનનો જથ્થો, વડોદરામાં ૯૪,૫૦૦ વેક્સિનનો જથ્થો અને રાજકોટ ખાતે ૭૭ હજાર કોવિડશિલ્ડ વેક્સિનનો જથ્થો નાગરિકો માટે પહોંચાડવામાં આવશે. પ્રથમ તબક્કાના રસીકરણ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્યકર્મીઓ અને નાગરિકોને સરળતાથી વેક્સિન મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં ૨૦ હજાર વેક્સિન કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાત રાજ્યના ૪ લાખ ૩૩ હજાર સરકારી અને ખાનગી ક્ષેત્રે આરોગ્ય સાથે સંકળાયેલા તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સફાઇકર્મીઓમાં પ્રાથમિક તબક્કે રસીકરણ કરવામાં આવશે તેમ નાયબ મુખ્ય મંત્રીએ ઉમેર્યું હતું. નીતિન પટેલે વધુ વિગતો આપતા કહ્યું કે, ૧૬મી તારીખે સમગ્ર રાજ્યમાં રસીકરણની પ્રક્રિયાના પ્રાથમિક તબક્કાનો પ્રારંભ થનાર છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના ૨૮૭ રસીકરણ કેન્દ્રો પર આરોગ્ય કર્મીઓ, તબીબો,નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર રસીકરણ કાર્યક્રમની ચર્ચા કરવામાં આવશે. અમદાવાદ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તબીબો સાથે વાતચીત કરીને રસીકરણની અસરકારક અમલવારી માટે પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવશે તેમ નાયબ મુખ્ય મંત્રીએ કહ્યું હતું. સમગ્ર કોરોના કાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગનો સતત માર્ગદર્શન અને તેમની દેખરેખ અને દિશા નિર્દેશોનું અમલીકરણ રાજ્યમાં કોરોનાની સ્થિતિને કાબુમાં રાખવા માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે એમ નાયબ મુખ્યમંત્રીએ અંતમાં જણાવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર રસીકરણના જથ્થાના સ્વીકાર પ્રસંગે આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો જયંતિ રવિ, કોરોના રસીકરણ પ્રક્રિયાના રાજ્યના નોડલ અધિકારી મુકેશભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.