મોરબી : મનુષ્યનું પ્રકૃતિ સાથે તાદમ્ય હોવું જરૂરી છે. અબોલ જીવો પણ કુદરતનો જ એક હિસ્સો છે. ત્યારે પશુ-પંખીઓની સેવા કરવીએ માનવીની નૈતિક ફરજ છે. ત્યારે મોરબીમાં રવાપર ચોકડી નજીક એક ટ્રાફિક પોલીસે નિયમીત રીતે કબુતરોને ચણ ખવડાવે છે. તેમજ પોતાની ટ્રાફિક પોલીસ તરીકેની ફરજ સાથે અબોલ જીવોની સેવા કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. મોરબીમાં દેવજીભાઈ ધનજીભાઈ બાવરવા રવાપર ચોકડી નજીક ટ્રાફિક પોલીસ તરીકે નિભાવે છે. તેઓ નિયમિત રીતે આસપાસના વિસ્તારમાં કબુતરોને ચણ નાખે છે. આ પ્રવૃત્તિ તેઓ સીરામીક ઉદ્યોગપતિ અથવા અન્ય સેવાભાવી લોકોના આર્થિક સહયોગથી કરી રહ્યા છે. જરૂર પડે ત્યારે તેઓ સ્વખર્ચે પણ આ સેવાકાર્ય કરે છે. આમ, તેઓએ ફરજ સાથે સેવાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે દેવજીભાઈ અગાઉ રાજકોટમાં ટ્રાફિક પોલીસની ફરજ બજાવી ચુક્યા છે. તેમજ હાલમાં મોરબીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. તેઓ મોરબીમાં દોઢ વર્ષથી પક્ષીઓને ચણ નાખી રહ્યા છે. તેમની ચણ નાખવાના સેવાકાર્યને જોઈને અન્ય લોકોએ પણ તેમાંથી પ્રેરણા લીધી હોવાનું તેમનું કહેવું છે. તેમજ બાળકો પણ તેમને મળવા માટે ઉત્સુક હોવાનું જાણવા મળ્યું છે.