30 ડિસેમ્બરે બનેલા ચોરીના બનાવની ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી ટંકારા : ટંકારા પંથકના બે મંદિરોને ગત તા. 30 ડિસેમ્બરે તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. તસ્કરો આ બન્ને મંદિરની દાનપેટી તોડીને તેમાંથી રોકડ રકમ સાથેની દાનપેટી ઉઠાવી ગયા હતા ત્યારે હવે આ ચોરીના બનાવની અંતે ફરિયાદ નોંધાઇ છે. જેમાં ટંકારા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા દોડધામ આદરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના ગણેશપર ગામે રહેતા જેરામભાઇ નાનજીભાઇ ભાગીયા (ઉ.વ.૪૭) એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૩૦ ના રોજ ગણેશપર ગામે આવેલા ભાગીયા પરીવારના શ્રી બહુચરજી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો શ્રી બહુચરજી માતાજીના મંદિરના દરવાજાનું તાળું તોળી મંદિરમાં પ્રવેશ કરી મંદિરની દાનપેટીમાં રહેલ રોકડા રૂપીયા ૧૨૦૦૦ થી ૧૫૦૦૦ ની દાનપેટી સાથે ચોરી કરી ગયા હતા. જ્યારે બીજા બનાવમાં ટંકારાના સજ્જનપર ગામે રહેતા સાગરભાઇ મનસુખભાઇ કોરડીયા (ઉ.વ.-૨૪)એ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૨૯ રોજ રાત્રીના સમયે સજનપર ગામે બાપા સીતારામ ગૌશાળામા અજાણ્યા માણસએ પ્રવેશ કરી ગૌશાળાના પાટેશનનો લોક ખોલી જમીનમા રાખેલ ગૌશાળાની દાનપેટી તોડી તેમાથી રૂ. ૭૦૦૦ થી ૮૦૦૦ અલગ-અલગ દરની ચલણી નોટો તથા સિક્કાની ચોરી કરી ગયો હતો. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.