તમામ જિલ્લાવાસીઓ નિર્ભયપણે પોતાની રોજિંદી કામગીરી કરી શકશે, પોલીસ એલર્ટ મોડ ઉપર રહેશે : જિલ્લા પોલીસ વડાનું નિવેદન મોરબી : મોરબી જિલ્લામાં કાલે મંગળવારે ભારત બંધના એલાન સંદર્ભે જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ આજે પત્રકાર પરિષદ બોલાવી જાહેર કર્યું હતું કે કોઈ બળજબરીથી બંધ કરાવશે તો તેની સામે કાયદેસરના પગલા લેવાવામાં આવશે. જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ વધુમાં મોરબી અપડેટના માધ્યમથી પણ જિલ્લાવાસીઓને જણાવ્યું હતું કે આવતીકાલે કોઈ વ્યક્તિ જબરજસ્તીથી બંધ નહિ કરાવી શકે. લોકોના રોજિંદા જીવન કે કામ ધંધામાં જે ખલેલ પહોંચાડશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. કોઈની શેહ શરમ રાખ્યા વિના નિયમોનુસાર કડક રીતે કાર્યવાહી કરવા તમામ પોલીસ સ્ટાફને પણ સૂચના આપી દેવામાં આવી છે. એસપીએ ઉમેર્યું કે આવતીકાલે તમામ પોલિસ ફોર્સને એલર્ટ કરી ચાંપતી નજર રાખવાનો આદેશ કર્યો છે. જ્યાં જરૂર છે ત્યાં વધુ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ 4થી વધુ વ્યક્તિ ભેગા થયા હશે તેની સામે અથવા કોવિડની ગાઇડલાઈનનો ભંગ થતો હશે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.